પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કરીને ભારતીય ચોકીઓ પર ગોળીબાર કરવાનો સિલસિલો જારી રાખ્યો છે. આજે સવારે આરએસ પુરા સેક્ટરમાં પાકિસ્તાને ભીષણ ગોળીબાર કર્યો હતો. ભારતની ૪૦થી વધારે ચોકીઓને ટાર્ગેટ કરીને કરવામાં આવેલા ગોળીબારમાં બે સ્થાનિક લોકોના મોત થયા હોવાના હેવાલ મળ્યા છે. અન્ય સાત લોકો ઘાયલ થયા છે. આજે સવારે ૬-૩૦ વાગ્યાની આસપાસ અરણિયા, રામગઢ સેક્ટરમૌં ગોળીબાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની સેનાએ સતત બીજા દિવસો ગોળીબાર કર્યો હતો. ગઇકાલે ગુરૂવારના દિવસે પણ કાશ્મીરના આરએસ પુરા સેક્ટરમાં પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ કરીને ભીષણ ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાનના અવિરત ગોળીબારના કારણે સરહદ પર વિસ્ફોટક સ્થિતી સર્જાઇ ગઇ છે.
આંતરરાષ્ટ્રીય સરહદ નજીક વિસ્તારમાં પાકિસ્તાને ગુરૂવારના દિવસે ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાનના આ ગોળીબારમાં બીએસએફનો એક જવાન શહીદ થયો હતો. જ્યારે અન્ય એક જવાનને ઇજા થઇ હતી. બુધવારે મોડી રાત્રે પાકિસ્તાને એકાએક ગોળીબાર કરવાની શરૂઆત કરી હતી. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારનો ભારતીય જવાનોએ જોરદાર જવાબ આપ્યો હતો. થોડાક દિવસ પહેલા ભારતીય સેનાએ પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલા ગોળીબાર બાદ જવાબી કાર્યવાહી કરીને પાકિસ્તાનના ચાર જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હેવાલ મુજબ પાકિસ્તાને અરનિયા સેક્ટરમાં પણ ગોળીબાર કર્યો હતો. આના કારણે કેટલાક ગામોને નુકસાન થયુ છે. પાકિસ્તાન વારંવાર યુદ્ધવિરામનો ભંગ કરીને જટિલ સ્થિતી સર્જે છે. ત્રાસવાદીઓને ઘુસાડી દેવાના ઇરાદા સાથે આ કાર્યવાહી કરવામાં આવે છે. ભારતીય સેનાએ ઉત્તરાયણ બાદ અંકુશરેખા પર મોટુ ઓપરેશન હાથ ધર્યું હતું જેના ભાગરુપે સાત પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. અન્ય ચાર જવાનો ઘાયલ પણ થયા હતા. જમ્મુ કાશ્મીરમાં પૂંચ જિલ્લામાં અંકુશરેખા ઉપર અગ્રિમ ચોકીઓ ઉપર સેનાએ આ કાર્યવાહી હાથ ધરી હતી. જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં અંકુશરેખા ઉપર પાકિસ્તાની ગોળીબારમાં એક ભારતીય જવાન શહીદ થયા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.કોટલી સેક્ટરમાં અંકુશ રેખા પર તેના ચાર સૈનિકો માર્યા ગયા હતા.પાકિસ્તાને ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશરેખા પર યુદ્ધવિરામ ભંગના ૭૨૦ વખત પ્રયાસો કર્યા હતા જે છેલ્લા સાત વર્ષની અંદર સૌથી વધારે છે. કેન્દ્રીય ગૃહમંત્રાલય પાસે રહેલા આકંડા મુજબ પાકિસ્તાની સેનાએ વર્ષ ૨૦૧૬માં ૪૪૯ વખતની સરખામણીમાં આંતરરાષ્ટ્રીય સરહદ-અંકુશરેખા ઉપર યુદ્ધ વિરામ ભંગના ૪૨૪ વખત પ્રયાસો કર્યા હતા.ગયા વર્ષે ઓક્ટોબર સુધી સરહદપારથી કરાયેલા ગોળીબારમાં ૧૨ નાગરિકો, ૧૭ સુરક્ષા જવાનો શહીદ થયા હતા.બીએસએફના મહાનિર્દેશક કેકે શર્માએ કબુલાત કરી છે કે અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિતી વિસ્ફોટક બનેલી છે. હાલમાં જ પાકિસ્તાનની સામે ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પાકિસ્તાનને ભારે નુકસાન થયુ હતુ. પાકિસ્તાનની બે ચોકીઓને ફુંકી મારવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરહદ ઉપર પાકિસ્તાનના ગોળીબારના કારણે અનેક ગામડાઓ સકંજામાં આવી ગયા છે.
ગોળીબારના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્કૂલોને બંધ કરવાના આદેશ જારી કરાયા છે. પાકિસ્તાન દ્વારા કરાયેલા ગોળીબારમાં સ્થાનિક લોકોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા બાદ મોટી સંખ્યામાં લોકોને ખસેડવામાં પણ આવી રહ્યા છે. બીએસએફે જડબાતોડ જવાબ આપ્યો છે પરંતુ સરહદ ઉપર ગોળીબારના કારણે ગ્રામીણ લોકોને અસર થઇ છે. ગોળીબારમાં પાકિસ્તાની જવાનોએ નાગરિકોને ટાર્ગેટ બનાવતા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. કઠવાના હિરાનગર સેક્ટરમાં સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. અહીં યુદ્ધ વિરામ ભંગમાં પાચ નાગરિકો ઘાયલ થયા છે. સરહદ ઉપર ગોળીબારના કારણે ઉભી થયેલી સ્થિતિ અંગે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ચિંતા વ્યક્ત કરી છે.
આગળની પોસ્ટ