પ્રતિબંધિત ત્રાસવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનના લીડર સૈયદ સલાઉદ્દીને દાવો કર્યો છે કે, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પીએચડી સ્કોલર મન્નાન વાની તેના સંગઠનમાં સામેલ થઇ ગયો છે. સલાઉદ્દીને સ્થાનિક મિડિયા માટે જારી કરવામાં આવેલા નિવેદનમાં કહ્યું છે કે, મન્નાન વાનીના સામેલ થવાથી એવા ભારતીય દુષ્ટપ્રચારની પોલ ખુલી ગઇ છે જેમાં દાવો કરવામાં આવ્યો છે. કાશ્મીરના યુવાનો બેરોજગારી અને આર્થિક તંગીથી પરેશાન થઇને હથિયાર ઉઠાવી રહ્યા છે. ઉર્દૂમાં આપવામાં આવેલા નિવેદનમાં સલાઉદ્દીને વાનીના હિઝબુલ મુઝાહિદ્દીનમાં સામેલ થવાનો દાવો કરીને કહ્યું છે કે, ઘણા વર્ષોથી શિક્ષિત અને યોગ્ય કાશ્મીરી યુવાનો હિઝબુલ મુઝાહિદ્દીનમાં સામેલ થઇ રહ્યા છે. આઝાદીના આંદોલનને તર્કદાર નિષ્કર્ષ ઉપર પહોંચાડી શકાય તે માટે યુવાનો જોડાઈ રહ્યા છે. પોલીસે આજે વાનીના ત્રાસવાદી સંગઠનમાં સામેલ થવાના અહેવાલ મામલે કોઇ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો. પોલીસે કહ્યું હતું કે, સોશિયલ મિડિયા મારફતે સપાટી ઉપર આવેલા ફોટાઓમાં તપાસ ચાલી રહી છે. મન્નાન વાની અંગે હાલમાં કોઇ માહિતી મળી શકી નથી. ગુપ્તચર સંસ્થાઓ શોધખોળમાં લાગેલી છે. મન્નાન છેલ્લે ૪થી જાન્યુઆરીના દિવસે દિલ્હીમાં દેખાયો હતો. લાપત્તા થવાથી પરિવારના સભ્યો પણ આઘાતમાં છે. ભાઈના કહેવા મુજબ ત્રણ જાન્યુઆરીના દિવસે મન્નાનની પિતા સાથે વાત થઇ હતી. ચોથી જાન્યુઆરી બાદથી ફોન સ્વીચઓફ થયેલો છે. બીજી બાજુ વાની હિઝબુલમાં સામેલ થવાના અહેવાલ વચ્ચે યુપી એટીએસ દ્વારા બંને કાશ્મીરી યુવાનોની શોધખોળ હાથ ધરી છે. અલીગઢ પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, જાન્યુઆરી ૨૦૧૭માં હોસ્ટેલમાં હિઝબુલના કેલેન્ડર કેટલાક લોકોને આપવામાં આવ્યા બાદ તેમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.