ચીન બાદ વિશ્વના સૌથી મોટા માર્કેટ ગણાતા ભારતમાં સોનાની આયાતમાં સતત ત્રણ મહિના સુધી ઘટાડો રહ્યા બાદ ડિસેમ્બર મહિનામાં ૩૭ ટકા સુધીનો વધારો નોંધાયો છે. સતત ત્રણ મહિના સુધી ઘટાડો થતાં સોના-ચાંદી સાથે જોડાયેલા કારોબારીઓમાં સોનાને લઇને ચર્ચા જોવા મળી રહી હતી. નાણામંત્રાલયના પ્રવક્તા ડીએસ મલિકે માહિતી આપતા કહ્યું છે કે, એક વર્ષ અગાઉ ૫૬.૯ ટનથી વધીને ૭૭.૭ મેટ્રિક ટન સુધી આંકડો પહોંચી ગયો છે. મૂલ્યની દ્રષ્ટિએ ખરીદી ૩૯.૮ ટકા વધીને ૧૭૬.૭ અબજ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આંકડા દર્શાવે છે કે, એશિયામાં ત્રીજા નંબરના અર્થતંત્રમાં રિવકરી થઇ રહી છે. જુલાઈ મહિનામાં જીએસટી વ્યવસ્થા અમલી બન્યા બાદ તેના ઉપર અસર થઇ હતી. આના કારણે માંગ ઘટી ગઈ હતી. બિઝનેસને અસર થઇ હતી. જ્વેલરી ભારતની ટોપ નિકાસ પૈકી છે. કુલ વેચાણ પૈકી ૧૫ ટકા સુધી વેચાણનો આંકડો એપ્રિલથી ઓક્ટોબરના ગાળામાં રહ્યો છે. ડિસેમ્બરની ખરીદી સહિત ભારતની સોનાની કુલ આયાતનો આંક ૬૬ ટકા સુધી વધીને ૨૦૧૭માં ૯૪૬.૩ ટનની આસપાસ રહ્યો છે. ગયા વર્ષે ભારતીય વપરાશકારોએ ૬૫૦થી ૭૫૦ ટન સોનાની ખરીદી કરી હતી. ૨૦૧૮માં તેજી સાથે આની શરૂઆત થઇ છે. સતત ચોથા સપ્તાહમાં સોનાની કિંમતમાં ઉછાળો નોંધાયો છે.