વર્ષ ૨૦૧૯માં યોજાનાર સામાન્ય ચૂંટણી પહેલા સરકાર હવે સુધારાઓથી ધ્યાન હટાવીને નોકરી ઉપર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. રોજગારીને લઇને સરકાર ગંભીર દેખાઈ રહી છે. વિકાસની ગતિને વધારવા, રોજગારીને વધારવા અને કૃષિ આવકને સુધારવા પર સરકાર ધ્યાન કેન્દ્રિત કરવા જઇ રહી છે. આની અસર ટૂંક સમયમાં જ દેખાશે. એક અહેવાલમાં આ મુજબની વાત કરવામાં આવી છે. વૈશ્વિક નાણાંકીય સર્વિસ સંસ્થાના કહેવા મુજબ મોદી સરકારની પ્રાથમિકતા હવે સુધારાઓથી હટીને રોજગારી ઉપર કેન્દ્રિત થશે. ગ્રોથના આંકડા ઉપર ધ્યાન આપવામાં આવશે. જીએસટીને અમલી બનાવવામાં આવ્યા બાદ એમ માનવામાં આવી રહ્યું હતું કે, મોદી સરકાર સુધારાઓથી ધ્યાન હટાવીને પોલિસી અમલીકરણ ઉપર કેન્દ્રિત કરશે અને ચોક્કસ પોલિસી પહેલને વળગી રહેશે પરંતુ હવે રોજગારી વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની દિશામાં સરકાર આગળ વધનાર છે. ૨૦૧૯માં સામાન્ય ચૂંટણી યોજાશે. આવી સ્થિતિમાં લોકો વધુ સંતુષ્ટ થાય તેવા પ્રયાસ કરવામાં આવનાર છે. છેલ્લા થોડાક વર્ષોમાં કૃષિ આવકમાં નજીવો વધારો થયો છે. જેના પરિણામ સ્વરુપે ખેડૂત સમુદાય નારાજ પણ છે. ગ્રામિણ ખરીદી શક્તિમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. સરકાર કૃષિ આવકને વધારવા માટે બજેટમાં કેટલાક મહત્વપૂર્ણ પગલા જાહેર કરી શકે છે. કૃષિ સંબંધિત પહેલ કરી શકે છે. આ ઉપરાંત રવિપાકના લઘુત્તમ સમર્થન મૂલ્યમાં વધારો કરવામાં આવી શકે છે. નરેગા માટેની ફાળવણીમાં વધારો કરવામાં આવી શકે છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અને અન્ય હિલચાલ ખેડૂતોની સ્થિતિને ધ્યાનમાં લઇને આગળ વધારવામાં આવશે. કૃષિ ઉત્પાદનને વધારવા માટે નવી પહેલ કરવામાં આવી શકે છે. વધુમાં સસ્તા આવાસની યોજના પર વિશેષ ધ્યાન અપાશે. રોજગારીની તકો ઉભી કરવા ઉપર ધ્યાન રહેશે