ભીમા કોરેગાંવ હિંસાના મામલામાં આરોપી અને ગુજરાતમાંથી ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે, દલિતો ઉપર થઇ રહેલા અત્યાચારના મુદ્દે વડાપ્રધાન મોદીએ જવાબ આપવા જોઇએ. તેમણે કહ્યું હતું કે, ભીમા કોરેગાંવની ઘટનાના ૨૦૦ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે શાંતિપૂર્ણરીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોદી આ સમગ્ર મામલામાં જવાબ આપે તેવી જરૂરિયાત ઉભી થઇ રહી છે. મેવાણીએ આ ગાળા દરમિયાન પોતાના ઉપર મુકવામાં આવેલા ઉશ્કેરણીજનક ભાષણ આપવાના આરોપને ફગાવી દીધા હતા. મેવાણીએ કહ્યું હતું કે, તેમનું સંબોધન સોશિયલ મિડિયા પર છે તેમાં ઉશ્કેરણીજનક કોઇપણ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેમણે ઉમેર્યું હતું કે, મોદી આ મામલે શાંત કેમ દેખાઈ રહ્યા છે. મોદી વડાપ્રધાન બન્યા બાદ રોહિત વેમુલા, ઉના, સહારનપુરમાં ભીમા આર્મી ઉપર હુમલા, ભીમા કોરેગાવની ઘટનાને લઇને મૌન પાળી રહ્યા છે. આ દેશમાં દલિતો પર અત્યાચાર કેમ થઇ રહ્યા છે. મોદીએ કોઇપણ ટિપ્પણી સંવેદનશીલ મુદ્દા પર કરી રહ્યા નથી. દલિતો આ દેશમાં સુરક્ષિત છે કે કેમ તેવા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. મેવાણીએ કહ્યું હતું કે, ગુજરાતમાં ૧૫૦ સીટોની વાત કરનાર ભાજપને ઓછી સીટથી સંતોષ માનવાની ફરજ પડી છે. આની પીડા તેમને દેખાઈ રહી છે. જિગ્નેશે કહ્યું હતું કે, સરકારે તેમની સામે બિનજરૂરી આરોપો મુક્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં બિનજરૂરી કેસોમાં દલિતોમાં અસંતોષ ફેલાવવામાં આવી રહ્યો છે.