મહારાષ્ટ્ર હિંસાનો મામલો આજે લોકસભામાં ચમક્યો હતો. શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે સામસામેનો દોર ચાલ્યો હતો. કોંગ્રેસ તરફથી મલ્લિકાર્જુન ખડગેએ મોરચો સંભાળ્યો હતો. ખડગેએ ભાજપ અને સંઘ ઉપર પ્રહાર કર્યા હતા. સરકાર તરફથી સંસદીય બાબતોના પ્રધાન અનંતકુમારે જવાબી હુમલો કર્યો હતો. કોંગ્રેસ ઉપર દેશને વિભાજિત કરવાની રાજનીતિ રમવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. લોકસભામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે પાસેથી જવાબની માંગ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર હિંસાની આગમાં સળગી રહી છે. સરકાર તરફથી કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. તેમણે ઉમેર્યું હતું કે, ભાજપ અને સંઘ તરફથી કાવતરાના ભાગરુપે હિંસા ફેલાવવામાં આવી છે.
લોકોના સમુદાય, જાતિના નામ ઉપર લડાવવાના પ્રયાસ ભાજપ દ્વારા કરાઈ રહ્યા છે. સમાજમાં વિભાજન કરવાની ગતિવિધિ કટ્ટર હિન્દુત્વ દ્વારા ફેલાવવામં આવી રહી છે. મહારાષ્ટ્રમાં સંઘના જે લોકો છે તે લોકો હિંસામાં સામેલ છે. ખડગે દ્વારા હિંસાના મામલામાં તપાસ સુપ્રીમ કોર્ટના જજ મારફતે કરાવવાની માંગ કરી હતી. આ સમગ્ર મુદ્દા ઉપર વિપક્ષે વડાપ્રધાન ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, મોદી આ પ્રકારના મામલામાં મૌનીબાબા બની જાય છે. બીજી બાજુ શાસક પક્ષ તરફથી અનંતકુમારે મોરચા સંભાળ્યા હતા. તેમણે કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ફેલાયેલી હિંસાથી તમામ લોકો પરેશાન છે. કોંગ્રેસ પાર્ટી આ આગને બુઝાવવાના બદલે ફેલાવવાનું કામ કરી રહી છે. રાહુલ અને મલ્લિકાર્જુન આ મામલાને ભડકાવી રહ્યા છે પરંતુ દેશ ભાગલાવાદી નીતિનો ક્યારે પણ સ્વીકાર કરશે નહીં.