૨૮ વર્ષ પહેલા લાલકૃષ્ણ અડવાણીએ અયોધ્યામાં રામ મંદિર માટે રથયાત્રા કાઢી હતી. હવે મહારાષ્ટ્રની એક સંસ્થા રામદાસ મિશન યુનિવર્સલ સોસાયટી અને વિશ્વ હિન્દુ પરિષદે ફરી એકવાર રામ રાજ્ય રથયાત્રા કાઢવાનો નિર્ણય કર્યો છે. આ રથયાત્રા અયોધ્યાથી તમિળનાડુના રામેશ્વર સુધી જશે. આ રામ રથયાત્રાનો એજન્ડા પણ ૨૮ વર્ષ પહેલા કાઢવામાં આવેલી રથયાત્રાની જેમ જ અયોધ્યામાં વિવાદાસ્પદ જમીન ઉપર રામ મંદિર બનાવવાની માંગણીને લઇને રહેશે. કારસેવકપુરમ હાઉસિંગ તરફથી સૂચિત રામ મંદિરને લઇને કાર્યશાળા મહાશિવરાત્રિના દિવસે એટલે કે ૧૩મી ફેબ્રુઆરીના દિવસે યોજાશે. આજ દિવસે આ યાત્રાની શરૂઆત કરવામાં આવી શકે છે. સુત્રોએ કહ્યું છે કે, આ યાત્રાને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લીલીઝંડી આપશે. યાત્રાની પૂર્ણાહૂતિ રામ નવમી એટલે કે ૨૫મી માર્ચના દિવસે થશે. આ ગાળા દરમિયાન કેન્દ્ર સરકાર પાસેથી પ્રાથમિકતાના આધાર પર ૧૪ મહિનાની અંદર રામ મંદિર બનાવવા માટે માંગણી કરવામાં આવશે. આ યાત્રા છ રાજ્યો ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, કેરળ અને તમિળનાડુથી થઇને પસાર થશે. રામ રાજ્ય રથયાત્રા માટે વિશેષરથ તૈયાર કરવામાં આવ્યા છે. ૨૫ લાખ રૂપિયાથી બનેલા આ રથને બનાવવામાં ચાર મહિનાનો સમય લાગ્યો છે. શ્રીરામદાસ મિશન યુનિવર્સલ સોસાયટીના રાષ્ટ્રીય મહાસચિવ શક્તિ સાતાનંદે કહ્યું છે કે, દેશમાં રામરાજ્યની સ્થાપના થાય તેવી અમારી યોજના છે. ભગવાન રામ ૧૪ વર્ષ બાદ અયોધ્યામાં પરત ફર્યા હતા. આવી જ રીતે સરકાર ૨૦૧૯ સુધી ૧૪ મહિનાની અંદર અયોધ્યામાં રામ મંદિર બનાવે તેવી અમારી માંગણી છે.