ત્રિપલ તલાકની સામે લોકસભામાં બિલ પસાર કરી દેવામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે હજયાત્રાને લઇને મુસ્લિમ મહિલાઓના અધિકારને લઇને અવાજ ઉઠાવ્યો છે. પુરુષ અભિભાવક અથવા તો વાલીઓની ઉપસ્થિતિ વગર મહિલાઓની હજ યાત્રા પર પ્રતિબંધને લઇને મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં વાત કરી હતી. વાલીઓની હાજરી વગર મહિલાઓની હજયાત્રા ઉપર પ્રતિબંધને ભેદભાવ અને અન્યાય તરીકે ગણાવીને મોદીએ આજે કહ્યું હતું કે, તેમની સરકારે આ પ્રથાને ખતમ કરી દીધી છે. મોદીએ વર્ષના અંતિમ મન કી બાત કાર્યક્રમમાં મુસ્લિમ મહિલાઓના સંદર્ભમાં વિસ્તારપૂર્વક વાત કરી હતી અને કેટલીક મોટી જાહેરાતો પણ કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, મુસ્લિમ મહિલાઓ હવે પુરુષો વગર પણ હજયાત્રાએ જઇ શકે છે. મેહરની પ્રથા અમે ખતમ કરી ચુક્યા છે. અત્રે નોંધનીય છે કે, નવી હજ નીતિ હેઠળ ૪૫ વર્ષની વય પાર કરી ચુકેલી ચાર અથવા તેનાથી વધારે મુસ્લિમ મહિલાઓ મહેરમ વગર પણ એક સાથે હજયાત્રા પર જઇ શકે છે. મહેરમ એટલે જેની સાથે મહિલાના નિકાહ થઇ શકે નહીં. દાખલા તરીકે પિતા, સગા ભાઈ, પુત્ર અને પૌત્રનો સમાવેશ થાય છે. હજુ સુધી હજ ઉપર જવા માટે મહિલા યાત્રીઓની સાથે મહેરમની જરૂર પડતી હતી. કેટલાક ઉમેલા મુસ્લિમ મહિલાઓના એકલી હજયાત્રા ઉપર વિરોધ નોંધાવી રહ્યા હતા અને અમે શરિયતની સામે ગણી રહ્યા હતા. મોદીએ આજે કહ્યું હતું કે, જ્યારે તેઓએ આ સંદર્ભમાં માહિતી મેળવવાની શરૂઆત કરી ત્યારે તેઓ પોતે પણ ચોંકી ગયા હતા. તેમણે કહ્યું હતું કે, તેમને એવું જાણવા મળ્યું કે, જો કોઇ મુસ્લિમ મહિલા હજયાત્રા ઉપર જવા ઇચ્છુક છે તો તેને કોઇ પુરુષ સભ્યની સાથે જવું પડશે. આ બાબતની નોંધ લીધા બાદ તેઓ પોતે હેરાન હતા અને ભેદભાવની સ્થિતિ દેખાઈ રહી હતી. હવે અમે આ પ્રથાને બદલી ચક્યા છે. હવે એકલી મહિલા હયાત્રાએ જઇ શકે છે. નિયમ બદલી દેવામાં આવ્યા બાદ આ વર્ષે ૧૩૦૦ મુસ્લિમ મહિલાઓએ કોઇપણ પુરુષ સભ્ય વગર હજયાત્રા પર જવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આવી મુસ્લિમ મહિલાઓને હજયાત્રા માટે પ્રાથમિકતા આપવા માટે પણ કહેવામાં આવ્યું હોવાની વાત મોદીએ કરી હતી. લઘુમતિ બાબતોના મંત્રાલયને સૂચના પણ આપવામાં આવી છે. આઝાદીના ૭૦ વર્ષ થયા હોવા છતાં આ ભેદભાવની સ્થિતિ રહ્યા બાદ હવે તેને દૂર કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે, કેટલાક મુસ્લિમ દેશોમાં પણ આ પ્રકારની પ્રથા નથી. અમે આ પરંપરા બદલી ચુક્યા છે. એકલા અરજી કરનાર તમામ મહિલાઓને હજયાત્રા પર મોકલવાને હવે પ્રાથમિકતા અપાઈ છે. સામાન્યરીતે હજ ઉપર લોટરી સિસ્ટમ લાગૂ થાય છે પરંતુ તેઓ કહી ચુક્યા છે કે, એકલી મુસ્લિમ મહિલા જે હજયાત્રા ઉપર જવા ઇચ્છુક છે તેમને લોટરીથી અલગ રાખવામાં આવશે. મુસ્લિમ મહિલાઓને પણ પુરુષોના સમાન અધિકાર મળે તે દિશામાં પહેલ થઇ રહી છે. અત્રે નોંધનીય છે કે, આ પહેલા ત્રિપલ તલાકની સામે અવાજ ઉઠાવ્યો હતો અને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કાયદાની દિશામાં પહેલ થઇ ચુકી છે. લોકસભામાં ત્રિપલ તલાક બિલ પાસ થઇ ચુક્યું છે. આ બિલમાં લેખિત, મૌખિક અથવા તો કોઇપણ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ દ્વારા તલાક ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. સાથે સાથે પતિ માટે ત્રણ વર્ષની સજાની પણ જોગવાઈ કરાઈ છે.