ઓપરેશન ઓલઆઉટથી હચમચી ઉઠેલા આતંકવાદીઓએ પોતાની હાજરી પુરવાર કરવાના હેતુસર વર્ષના અંતિમ દિવસે જમ્મુ કાશ્મીરના પુલવામામાં પઠાણકોટ એરબેઝની જેમ જ મોટા હુમલાને અંજામ આપ્યો હતો. ત્રાસવાદીઓએ પઠાણકોટ એરબેઝ હુમલાનું પુનરાવર્તન કર્યું હતું. સીઆરપીએફના ટ્રેનિંગ સેક્ટર પર આજે વહેલી પરોઢે બે વાગે જૈશે મોહમ્મદના ત્રાસવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. જવાનોએ પણ તરત મોરચા સંભાળી લીધા હતા અને સામ સામે ગોળીબારની રમઝટ શરૂ થઇ ગઇ હતી. ત્રાસવાદીઓના આ હુમલામાં સીઆરપીએફના ચાર જવાનો શહીદ થયા હતા. અન્ય ત્રણ જવાન ઘાયલ થયા હતા. ત્રાસવાદીઓનો હાલના સમયનો આ સૌથી મોટો હુમલો છે. જૈશે મોહમ્મદે ૨૦૧૬માં પઠાણકોટ એરબેઝ ઉપર નવા વર્ષના જશ્ન વચ્ચે જ હુમલો કર્યો હતો. તે વખતે પહેલી જાન્યુઆરીની રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં સાત જવાનો શહીદ થયા હતા. એરબેઝ ઉપર આ અથડામણ ૮૦ કલાક સુધી ચાલી હતી. આતંકવાદી હુમલાના સંદર્ભમાં જમ્મુ કાશ્મીરના ડીજીપી એસપી વૈદ્યએ કહ્યું છે કે, આતંકવાદીઓની સામે ઓપરેશન જારી છે. તેમના ઉપર ટૂંક સમયમાં જ કાબૂ મેળવી લેવામાં આવશે. સીઆરપીએફના અધિકારીઓને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, આત્મઘાતી હુમલાખોરોએ હુમલો કર્યો હતો. લેથપોરા સ્થિત સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની ૧૮૫મી બટાલિયન કેમ્પમાં વહેલી પરોઢે બે વાગે ત્રાસવાદીઓ ઘુસી જવામાં સફળ રહ્યા હતા. ત્રાસવાદીઓએ સૌથી પહેલા ગ્રેનેડો ઝીંક્યા હતા ત્યારબાદ હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ આતંકવાદીઓ એક ઇમારતમાં જઇને છુપાઈ ગયા હતા અને ત્યાંથી ગોળીબાર જારી રાખ્યો હતો. બીજા કેમ્પો પર પણ આ પ્રકારના હુમલા થવાની શક્યતા દેખાઈ રહી છે. ઘાયલ થયેલા જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શ્રીનગર હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને ખસેડવામાં આવ્યા હતા. સીઆરપીએફ, ૫૦ રાષ્ટ્રીય રાયફલ અને જમ્મુ કાશ્મીર પોલીસે ત્રાસવાદીઓને ચારેબાજુથી ઘેરી લઇને ઓપરેશન હાથ ધર્યું હતું. અત્રે નોંધનીય છે કે, દેશમાં રક્તપાતનો દોર જારી રહ્યો છે. તાજેતરના સમયમાં જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા માટે ઓપરેશન ઓલઆઉટ જારી છે જેના ભાગરુપે હજુ સુધી ૨૦૦થી પણ વધુ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. સેનાના ઓપરેશન ઓલઆઉટના પરિણામ સ્વરુપે ત્રાસવાદીઓમાં ખળભળાટ મચેલો છે. તેમના તમામ મોટા લીડરો ઠાર થઇ ચુક્યા છે. આ પહેલા ત્રાસવાદીઓએ ૨૯મી નવેમ્બર ૨૦૧૬ના દિવસે નાગરોટામાં હુમલો કર્યો હતો જેમાં ૧૦ જવાનોના મોત થયા હતા. વર્ષ ૨૦૧૬માં ત્રાસવાદીઓએ કેટલાક મોટા હુમલાને અંજામ આપ્યા છે. જુલાઈ મહિનામાં અમરનાથ યાત્રાને ટાર્ગેટ બનાવીને હુમલો કરાયો હતો જેમાં પણ મોટી ખુવારી થઇ હતી. સપ્ટેમ્બર મહિનામાં ઉરીમાં ત્રાસવાદી હુમલો કરાયો હતો. ૨૦ જવાનો શહીદ થયા બાદ સેનાએ સર્જિકલ હુમલા કર્યા હતા જેમાં પાકિસ્તાની ત્રાસવાદીઓને પોકમાં ઘુસી જઇને મોતને ઘાટ ઉતારાયા હતા.
પાછલી પોસ્ટ