રાજકોટ ફરી એક વખત રક્તરંજીત બન્યું છે. શહેર એનએસયુઆઇના મંત્રી જયરાજસિંહ જાડેજાની સામાન્ય બાબતે હત્યા કરવામાં આવતાં કોંગ્રેસી કાર્યકરોમાં દોડધામ મચી છે. તો પોલીસે ફરાર આરોપીને ઝડપવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટ શહેરના બજરંગવાડી વિસ્તારમાં ગાડી ભટકાવાની સામાન્ય બાબતે અજય વાળાએ જયરાજસિંહ પર છરી વડે હુમલો કર્યો હતો. આ જીવલેણ હુમલાથી જયરાજસિંહને બચાવવા તેમના ભાઈ ઋતુરાજસિંહ વચ્ચે પડ્યા હતાં. હુમલાખોરે તેમના ભાઈ પર પણ છરી વડે હુમલો કરતાં તેઓ ઘવાયા હતા.
નજીવી બાબતે થયેલી અથડામણમાં નશાની હાલતમાં રહેલા હુમલાખોરે જયરાજસિંહને છરીના ઘા માર્યા હતા. જેથી ગંભીર રીતે ઘાયલ થયેલા જયરાજસિંહ જાડેજાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા. જ્યાં સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું.એનએસયુઆઇના મંત્રીની હત્યાની જાણ થતાં જ કોંગ્રેસના કાર્યકરો અને એન.એસ.યુ.આઈના કાર્યકરોમાં દોડધામ મચી હતી અને હાફળા-ફાફળા થયેલા કાર્યકરો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા. જ્યારે હુમલામાં મોતને ભેટનારા મંત્રીના પરિવારજનો હોસ્પિટલે પહોંચ્યા હતા. પોલીસને જાણ થતાં પોલીસકર્મીઓ પણ હોસ્પિટલમાં પહોંચ્યા હતાં. પોલીસે આ મામલે ઘટના જોનારા લોકોના નિવેદન નોંધ્યા છે અને ફરાર આરોપીને ઝડપવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આગળની પોસ્ટ