બેટી બચાઓ, બેટી પઢાઓના અનોખા સંદેશ સાથે આજે શહેરના વિશ્વકર્મા મિત્રમંડળ દ્વારા સમાજને ઉમદા સંદેશો આપવા સાથેનો સાંસ્કૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમ્યાન અનોખી નૃત્ય નાટિકા દ્વારા બેટી બચાઓ, બેટી પઢાઓનો સામાજિક સંદેશો વહેતો કરાયો હતો. સમાજમાં દિકરીઓનું મહત્વ અને તેમના શિક્ષણની ઉપયોગિતા અને મહત્વતા પણ સમજાવાઇ હતી કે જેથી સમાજમાં દિકરીઓ પરત્વેની જાગૃતતા અને તેમને શિક્ષણ સહિત તમામ ક્ષેત્રમાં પુરૂષ સમોવડી લાભો મળી રહે તેવી વ્યવસ્થા કેળવાય. આ પ્રસંગે સમાજના પાંચ યુવા ઉદ્યોગ સાહસિકોનું ખાસ સન્માન પણ કરાયું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે રાજયના પૂર્વ મુખ્ય સચિવ જી.આર.અલોરિયા, જોગારામજી જાંગીડ(આઇએએસ) અને મુંબઇના જાણીતા ઉદ્યોગપતિ શંકર કુલરિયા સહિતના મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા.
વિશ્વકર્મા મિત્રમંડળના મુખ્ય પરામર્શક દિનેશકુમાર સારંગ(આઇએએસ) તથા મુખ્ય સંરક્ષક શશીકાંત શર્મા અને અધ્યક્ષ કાર્યકર્તા સુરેશ શર્માના માર્ગદર્શન હેઠળ શહેરમાં યોજાયેલા કાર્યક્રમમાં વિશ્વકર્મા સમાજના ચાર હજારથી વધુ લોકો હાજર રહ્યા હતા. સમાજની મહિલાઓના ઉત્કર્ષ અને તેના પ્રોત્સાહન માટે આ પ્રસંગે મહિલાઓ અને બાળકો માટે મહેંદી, મ્યુઝિકલ ચેર, રંગોળી, નાની બાળકીઓ દ્વારા લોકનૃત્ય સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા. સાથે સાથે બેટી બચાઓ, બેટી પઢાઓના અનોખા સંદેશ સાથે એક નવતર ઝુંબેશ ઉપાડવામાં આવી હતી.
કાર્યક્રમ દરમ્યાન શશીકાંત વેદપ્રકાશ શર્મા, રાજેન્દ્ર જાંગીડ, સંજય પાલડિયા, મહેન્દ્ર શર્મા અને બજરંગ જાંગીડ એમ પાંચ યુવા ઉદ્યોગ સાહસિકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમ દરમ્યાન યોજાયેલી મહેંદી, રંગોળી સહિતની સ્પર્ધાઓના વિજેતા સ્પર્ધકોને પ્રોત્સાહક ઇનામ પણ એનાયત કરવામાં આવ્યા હતા.
આગળની પોસ્ટ