ગુજરાત અને હિમાચલના પરિણામ આવી ચુક્યા છે. બંને રાજ્યોમાં ભાજપને બહુમત મળ્યો છે. ભાજપની આ જીતને વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે પરંતુ હવે સૌની નજર આગામી વર્ષમાં આઠ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ ઉપર છે જેમાં સૌથી મહત્વપૂર્ણ રાજ્ય કર્ણાટક છે. બંને પક્ષ ગુજરાત અને હિમાચલના પરિણામને ધ્યાનમાં રાખી હવે કર્ણાટકમાં યોજાનારી ચૂંટણી માટે અત્યારથી જ રણનીતિ બનાવવામાં લાગી ગયા છે. કર્ણાટકમાં એપ્રિલ-મે ૨૦૧૮માં વિધાનસભાની ચૂંટણી યોજાવવા જઇ રહી છે. આ લડાઈમાં ભાજપનો ઉદ્દેશ્ય જ્યાં કોંગ્રેસ મુક્ત ભારતની દિશામાં એક વધુ ડગલું વધારવાનો છે ત્યાં સત્તા ઉપર બેઠેલી કોંગ્રેસ માટે ફરી એકવખત સત્તા ટકાવી રાખવાનો જંગ હશે. ગુજરાતમાં ભાજપની જીતનું અનુમાનથી લઇ પરિણામ બાદ હવે કર્ણાટક ચૂંટણીને ધ્યાનમાં લેવામાં આવે તો આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે ચમત્કારી સાબિત થઇ શકે તેમ છે. બંને પક્ષો દ્વારા કર્ણાટકમાં અત્યારથી જ પ્રચાર અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. બંને પક્ષ પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે. રાજકીય પંડિતો માને છે કે, આ ચૂંટણીમાં ભાજપ પોતાના હિન્દુત્વના કાર્ડ ઉપર પ્રચાર કરશે જ્યાં સિદ્ધા રમૈયાના નેતૃત્વમાં કોંગ્રેસ વિકાસ કાર્ડ દ્વારા તેનો પ્રચાર કરશે. સિદ્ધા રમૈયાનું કહેવું છે કે, અમારી પાર્ટી ભલે ગુજરાતમાં હારી ગઇ છે તે છતાં પણ કાંટાની ટક્કર બાદ તેને જીત મળી છે. કોંગ્રેસ અધ્યક્ષ બનેલા રાહુલ ગાંધીની વિજય યાત્રાનું આ પહેલું ચરણ છે. મુખ્યમંત્રી રમૈયાના કહેવા મુજબ કર્ણાટકમાં તેમના પક્ષની જીત નિશ્ચિત છે અને આ જીત તે રાહુલ માટેની ગિફ્ટ હશે. તેમનું એમ પણ માનવું છે કે, કર્ણાટકમાં મોદી મેઝિક કામ નહીં કરે. વિધાનસભાની ચૂંટણીઓમાં સ્થાનિક મુદ્દાઓને વધારે મહત્વ આપવામાં આવતું હોય છે. કર્ણાટકમાં હાલ ૨૨૪ બેઠકો પૈકી કોંગ્રેસ પાસે ૧૨૭ બેઠકો છે. કર્ણાટકના મુખ્યમંત્રી સોશિયલ મિડિયા ઉપર ખુબ જ સક્રિય છે અને તેઓ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી પોતાની સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસકાર્યોને ખુબ જ મોટા પ્રમાણમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ રાજ્યમાં મહાદયી અને કાવેરી જળ વિવાદથી ખેડૂતોની ઉભી થયેલી પરિસ્થિતિ માટે સતત વર્તમાન કેન્દ્રની મોદી સરકારને જવાબદાર ગણાવી રહ્યા છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ