કોઇ ગરીબને દવા વિના મરવાની નોબત ન આવે અને દેશનાં તમામ નાગરિકને ગુણવત્તાયુકત જીવન જરૂરી દવા સસ્તાભાવે ઉપલબ્ધ થાય તે માટે માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની નેમને મૂર્તિમંત કરવા ભારત સરકારના ફાર્માસ્યુટીકલ મંત્રાલયે વિવિધ પગલાં લીધા હોવાનું કેન્દ્રીય ફાર્માસ્યુટીકલ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ સંસદના એક પ્રશ્નમાં જણાવેલ છે. આ અંગે વધુમાં જણાવેલ હતુ કે, વિવિધ જીવન જરૂરી દવાઓ વ્યાજબી ભાવે મળે અને ગ્રાહકો પાસેથી કંપની નફાખોરી ન કરી શકે તે માટે ૮૪૯ જેટલી જીવન જરૂરી દવાનાં મહત્તમ ભાવો નક્કી કરી નિયંત્રિત કરી દેવામાં આવેલ છે. જેથી કોઇ કંપની ગ્રાહકો પાસેથી વધુ ભાવો લઇ શકે નહીં. આ રીતે દવાના મહત્તમ ભાવો નક્કી કરવામાં આવતા દવાનાં ભાવોમાં 5% થી લઇને 50% સુધી ઘટાડો થયેલ છે, જેથી ગરીબ દર્દીઓને આર્થિક ફાયદો થશે સાથે જ હેલ્થ કવરેજમાં પણ વધારો થશે. આ ઉપરાંત દર્દીઓને ગુણવત્તાયુકત જેનેરીક દવા ખૂબ જ સસ્તા ભાવે મળે તે માટે કેન્દ્ર સરકારે ૩૦૦૦ થી પણ વધુ પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોર ખોલેલ છે અને દેશનાં દરેક બ્લોક સુધી આવા જન ઔષધી સ્ટોર ખોલવામાં આવી રહેલ છે. આમ દરેક નાગરિકનો દવા માટેનો અધિકાર સુનિશ્ચિત કરવા ભારત સરકાર વિવિધ પગલાં લઇ રહેલ છે.
આગળની પોસ્ટ