કોલસા કૌભાંડમાં દિલ્હીની ખાસ અદાલતે દોષિત જાહેર થયેલા ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાની સજા ઉપર સુનાવણી ૧૬મી ડિસેમ્બર સુધી ટાળી દીધી છે. સાથે સાથે મધુ કોડાએ સીબીઆઈની ખાસ અદાલતમાં રાહત માટે અપીલ કરી છે. આની પાછળ મધુ કોડાએ તર્ક આપ્યું છે કે, તેમની બે નાની પુત્રીઓ છે અને કેટલીક મેડિકલની સમસ્યા છે. મામલામાં અન્ય ત્રણ દોષિતોએ પણ મેડિકલ મુદ્દાના આધાર પર સજા ઓછી કરવાની માંગ કરી છે. આજે સજાની જાહેરાત કરવાની હતી પરંતુ સુનાવણી શનિવાર સુધી ટાળી દેવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, ખાસ અદાલતે ગઇકાલે મધુ કોડાને દોષિત જાહેર કર્યા હતા. સજા અંગેની જાહેરાત આવતીકાલે કરવામાં આવનાર છે. મધુ કોડાને દોષિત જાહેર કરવામાં આવ્યા બાદ ભારે ખળભળાટ મચી ગયો હતો. ખાસ સીબીઆઈ જજ ભારત પરાશરે કોડા, ગુપ્તા અને અન્ય આરોપી લોકોને દોષિત ઠેરવ્યા છે જેમાં ઝારખંડના પૂર્વ ચીફ સેક્રેટરી એકે બસુ, ખાનગી કંપની વિની આયર્ન એન્ડ સ્ટીલ ઉદ્યોગ લિમિટેડનો સમાવેશ થાય છે. ઝારખંડમાં રાજહરા નોર્થ કોલ બ્લોકની ફાળવણીમાં અનિયમિતતા સાથે સંબંધિત કેસમાં ફોજદારી કાવતરા સહિત જુદા જુદા ગુનામાં આ તમામને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ગઇકાલે ચુકાદો જાહેર કરવામાં આવ્યો ત્યારે ભારે સોપો પડી ગયો હતો. જો કે, ખાસ સીબીઆઈ અદાલતે ચાર લોકોને નિર્દોષ છોડી મુક્યા છે જેમાં વિની આયર્ન એન્ડ સ્ટીલ ઉદ્યોગ લિમિટેડના ડિરેક્ટર વૈભવ તુલસયાન અને બે જાહેર કર્મચારી વસંતકુમાર ભટ્ટાચાર્ય અને બિપીન બિહારીનો સમાવેશ થાય છે. નવીન કુમારને પણ તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. અગાઉ તમામ સામે આરોપી તરીકે સમન્સ જારી કરવામાં આવ્યા હતા. ભ્રષ્ટાચાર અટકાયત ધારા અને આઈપીસીની જુદી જુદી કલમો હેઠળ આરોપો મુકવામાં આવ્યા હતા. સીબીઆઈએ આક્ષેપ કરતા કહ્યું છે કે, કંપનીએ ૮મી જાન્યુઆરી ૨૦૦૭ના દિવસે રાજહરા નોર્થ કોલ બ્લોક ફાળવણી માટે અપીલ કરી હતી.
એવું કહેવામાં આવ્યું હતું કે, ઝારખંડ સરકાર અને સ્ટીલ મંત્રાલય દ્વારા કોલસા બ્લોક ફાળવણી માટે વિની આયર્નના કેસની કોઇ ભલામણ કરી ન હતી. સીબીઆઈનું કહેવું છે કે, સ્ક્રીનિંગ કમિટિના ચેરમેન ગુપ્તાએ તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહ પાસેથી ઘણી બધી બાબતને છુપાવી હતી. તે વખતે મનમોહનસિંહ કોલસા મંત્રાલય પણ સંભાળી રહ્યા હતા. આ ઉપરાંત ઝારખંડને પણ કેટલીક બાબતોથી અજાણ રાખવામાં આવી હતી. કોડા, બસુ અને અન્ય બે આરોપી કર્મચારીઓએ કોલસા બ્લોક ફાળવણીમાં વિની આયર્નની તરફેણ કરવા કાવતરુ ઘડ્યું હતું. જો કે, દોષિત જાહેર થયેલા તમામ આરોપીઓએ તેમની સામે કરવામાં આવેલા આક્ષેપોને રદિયો આપ્યો હતો.