આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી વરસાદ, પાકની સ્થિતિ અને પાણીના સ્તરની સવિસ્તર માહિતી મેળવવા માટે મહારાષ્ટ્ર સરકારે વૅબસાઈટ લૉંચ કરી હતી. મહારાષ્ટ્ર રિમોટ સેન્સિંગ એપ્લિકેશન સેન્ટરની મદદથી મદદ અને પુનવર્સન ખાતાએ આ વૅબસાઈટ બનાવી છે. પાટીલે જણાવ્યું હતું કે ૨૦૧૬માં કોઈ પણ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટેના માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા. જે અનુસાર જો કોઈ વિસ્તારમાં સતત ૨૧ દિવસ સુધી વરસાદ ન પડે તેમ જ ત્યાંની જમીનમાં ભેજનું પ્રમાણ, પાકની સ્થિતિ તેમ જ જમીનમાં પાણીનું સ્તર જોઈ નક્કી કરવામાં આવે છે. આ વૅબસાઈટ આ તમામ માહિતી એકઠી કરશે અને દુષ્કાળ અંગેની ચોક્કસ માહિતી આપશે. તેમણે જણાવ્યું હતું કે હાલમાં રાજ્યમાં એવા ૨૦૧ તાલુકા છે જ્યાં સતત ૨૧ દિવસ સુધી વરસાદ પડ્યો નથી. અન્ય માપદંડોનો અભ્યાસ થઈ રહ્યો છે. તે બાદ જે તે તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવશે અને જરૂરી પગલાં લેવામાં આવશે. રાજ્યમાં આ વર્ષે ફરી દુષ્કાળની સ્થિતિ સર્જાતા ખેડૂતો સહિત સરકાર પણ ચિંતામાં પડી છે. પહેલેથી ખેતી વિષયક અતિ ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહેલી સરકાર દુષ્કાળને લીધે વધું ભીંસ અનુભવી રહી છે.