ઢુંઢર ગામ ખાતે દોઢ વર્ષની બાળકી પર બળાત્કાર બાદ ઉત્તર ગુજરાતમાં પરપ્રાંતિયો પર હુમલા થવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ મામલે રાધાનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ કરીને ભાજપ પર આક્ષેપો કર્યા હતા. અલ્પેશ ઠાકોરે સીધો આક્ષેપ લગાવ્યો હતો કે ભાજપના કાર્યકરો ઉત્તર ગુજરાતમાંથી પરપ્રાંતિયોને ભગાડી રહ્યા છે. અલ્પેશ ઠાકોરે કહ્યું કે, “ઉત્તર ગુજરાતમાં પરપ્રાંતિયો પર કોઈ ગુંડાતત્વો હુમલા કરી રહ્યા છે. આ હુમલાઓ પાછળ ઠાકોર સેના કે તેમના કોઈ કાર્યકરોનો હાથ નથી. આ મામલે રાજનીતિ કરવામાં આવી રહી છે. આવું કરીને અમારા કાર્યકરોને ફસાવવામાં આવી રહ્યા છે.”
અલ્પેશે વધુમાં કહ્યં કે, “અમે પરપ્રાંતિયોનો કોઈ જ વિરોધ નથી કરી રહ્યા. ભાજપના કાર્યકરો રાજનીતિ કરીને પરપ્રાંતિયોને અહીંથી ભગાડી રહ્યા છે.” સાથે સાથે અલ્પેશ ઠાકોરે ઉત્તર ગુજરાતમાં પરપ્રાંતિયોને ટાર્ગેટ ન કરવની વિનંતી પણ કરી હતી. હિંમતનગરના ગાંભોઈ પાસે આવેલા ઢુંઢર ભાવપુર ગામમાંથી એક નાની બાળકી ગૂમ થયાની ફરિયાદ નોધાઈ હતી. આ મામલે પોલીસે તપાસ હાથ ધરતાં ખેતરમાં એક બાળકી મળી આવી હતી. તુરંત પોલીસે બાળકીને હોસ્પિટલ દાખલ કરી હતી, જ્યાં ડોક્ટરોએ જણાવ્યું કે માસુમ સાથે દુષ્કર્મ થયું છે. આ બાળકી પર નજીકની ફેક્ટરીના મજુરે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મની જાણ થતા ગામલોકો રોષે ભરાયા હતા અને સિરામિકની ફેક્ટરીમાં લોકોનાં ટોળાએ તોડફોડ કરી હતી. અહીં પાર્ક કરેલી ત્રણથી વધુ કાર અને એક બાઇક તેમજ ફેક્ટરીના મકાનોમાં પણ આગ લગાવી દેવામાં આવી હતી.