ભારતની સૌથી મોટી ઉડ્ડયન કં૫ની એર ઇન્ડિયાના ખાનગીકરણની કવાયત સરકાર દ્વારા વેગવાન બનાવવામાં આવી છે. મળતી વિગતો અનુસાર એર ઇન્ડિયાના વેંચાણ ૫હેલા તેના બે ભાગ પાડવામાં આવશે. જેમાં એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસનો સમાવેશ થાય છે. જેનું સંયુક્ત રીતે વેંચાણ કરવામાં આવશે. આ સિવાય સ્પેશિયલ પરપઝ વ્હિકલ પણ હશે, તેમા એર ઇન્ડિયાની ૩૨,૦૦૦ કરોડની કાર્યશીલ મૂડીનો સમાવેશ થાય છે. તેની પેટા કંપનીઓમાં એલાયન્સ એર અને જમીન અને બિલ્ડિંગ્સ જેવી એસેટ્સનું પછી મોનેટાઇઝેશન કરવામાં આવશે. સત્તવાર સૂત્રો મુજબ આ અંગેના આયોજન સાથેની કેબિનેટ નોંધને તૈયાર કરવામાં આવી છે.નાણાપ્રધાન અરૂણ જેટલીની આગેવાની હેઠળના મિનિસ્ટરીઅલ ગ્રુપની ભલામણોના મુજબ આ નોંધ તૈયાર કરવામાં આવી છે. તેની પાછળનો ખ્યાલ એ છે કે એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસનું વેચાણ વર્તમાન નાણાકીય વર્ષના અંત સુધીમાં પૂરું કરી દેવામાં આવે. જ્યારે બાકીના વ્યવહાર પછી હાથ ધરવામાં આવે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે એર ઇન્ડિયાના ૧૨,૦૦૦ કર્મચારીઓ, દિલ્હીમાં ગુરુદ્વારા રકબગંજ રોડ ખાતેનું મુખ્યમથક અને ૧૧૫ વિમાનો છે અને તેથી એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસના સંભવિત ખરીદદારો એરલાઇનની એરક્રાફ્ટ સંલગ્ન ૨૦,૦૦૦ કરોડ રૂપિયાની લોનની જવાબદારી ઉઠાવવાની રહેશે.આ સિવાય ઓઇલ રિટેલરોના બાકી નીકળતા ૮,૦૦૦ કરોડ રૂપિયા પણ ચૂકવવાના રહેશે. હજી સુધી મૂલ્ય નક્કી થયું ન હોવા છતાં પણ અધિકારીઓ મુજબ સરકાર જો વર્તમાન નાણાકીય વર્ષના અંત સુધીમાં તેનું વેચાણ કરવામાં સફળ રહે તો તેને ૧૫,૦૦૦ કરોડ રૂપિયા સુધીની રકમ મળી શકે છે.આ ઉપરાંત એર ઇન્ડિયાના ૩૨,૦૦૦ કરોડ રૂપિયાના ઋણબોજ માટે પ્રસ્તાવિત એસપીવી બેન્કો સાથે વાટાઘાટ કરશે અને બેન્કો કેટલો કાપ સ્વીકારે છે કે નહી તે પણ જોવાનું રહેશે. બેન્કોએ પણ એર ઇન્ડિયાના ઋણબોજ અંગે વાટાઘાટ કરવાની તૈયારી દાખવી છે. સરકાર આ ઉપરાંત આ સમગ્ર વેચાણ પ્રક્રિયાના અંતે તેનો લઘુમતી હિસ્સો રાખે છે કે નહીં તે પણ જોવું રહ્યું.