જેટ એરવેઝની ફ્લાઇટમાં બોમ્બ મુકાયો હોવાની ખોટી ધમકી આપી ડર ફેલાવનાર તળ મુંબઈના ૩૭ વર્ષના બિઝનેસ મેન બિરજુ સલ્લાને આજીવન કારાવાસની સજા થઇ શકે છે. એનઆઇએ (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)ની તપાસમાં જણાઈ આવ્યું છે કે બિરજુ જેટ એરવેઝને બદનામ કરવા ઇચ્છતો હતો અને સાથે જ તેની સાથે આવવાની ના પાડનાર તેની જેટ એરવેઝમાં જ કામ કરતી સ્ત્રી મિત્રને પાઠ ભણાવવા માગતો હતો. ટૂંક સમયમાં આ કેસમાં એનઆઇએ ચાર્જશીટ દાખલ કરશે. બિરજુ સલ્લા રિયલ્ટી, ગોલ્ડ બુલિયન અને ખાખરાના ધંધા સાથે સંકળાયેલા છે. એનઆઇએ એ એન્ટિ હાઇજેકિંગ એક્ટ હેઠળ નોંધાયેલા આ પહેલા જ કેસની મોટાભાગની તપાસ પૂરી કરી લીધી છે. હાઇજેકિંગની ઘટના પર અંકુશ મૂકી શકાય એ માટે ગયા વર્ષે જ આ કડક કાયદો અસ્તિત્વમાં આવ્યો હતો. આ કાયદાની જોગવાઈ મુજબ ગુનેગારને આજીવન કારાવાસની સજા પણ કરી શકાય છે. ૩૦ ઓક્ટોબરે બિરજુ સલ્લાએ જેટ એરવેઝની મુંબઈ-દિલ્હી ફ્લાઇટ ૯ઉ ૩૩૯ ના ટોઇલેટમાં લેટર મુકી રાખ્યો હતો કે આ પ્લેનમાં બોમ્બ મુકાયો છે, અને એે પ્લેન પાકિસ્તાનના અખત્યાર હેઠળના કાશ્મીરમાંથી ઊડવું જોઈએ. જેને કારણે એ ફ્લાઇટ ત્યાર બાદ અમદાવાદ એરપોર્ટ પર વાળવામાં આવી હતી અને કલાકો સુધી ફ્લાઇટ રોકી રાખી તેની સઘન તપાસ ચલાવાઈ હતી. જોકે એ તપાસમાં બોમ્બ જેવી કશી પણ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી.