મોદી સરકારે દેશના સૈનિકો માટે વન રેન્ક, વન પેન્શન લાગુ નહી કરીને દેશના સૈનિકો અને ભૂતપૂર્વ સૈનિકો સાથે ગંભીર વિશ્વાસઘાત અને દગો કર્યો છે. વન રેન્ક, વન પેન્શનની માંગ કરી રહેલા સૈનિકોએ ૮૭૦ દિવસ સુધી જંતરમંતર પર વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને અત્યારસુધીમાં આંદોલનકારી ભૂતપૂર્વ ૩૨૦૦૦થી વધુ સૈનિકો પોતાના યુધ્ધ પદકને સરકારને પરત આપી ચૂકયા છે પરંતુ હજુ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપે સૈનિકોની વ્યથા સાંભળી નથી એ મતલબના આકરા પ્રહારો આજે મેજર જનરલ સતબીરસિંહ(સેના મેડલ)(ઇન્ડિયન એક્સ સર્વિસમેન મુવમેન્ટ તથા યુનાઇટેડ એક્સ સર્વિસમેન મુવમેન્ટના ચેરમેન)એ અમદાવાદની મુલાકાત દરમ્યાન કર્યા હતા. ભારતીય સશસ્ત્ર દળના સેના અધિકારીઓ અને યુધ્ધ વીરાંગનાઓ સાથે મેજર જનરલ સતબીરસિંહે આજે મોદી સરકારને નવથી દસ સવાલો પૂછી ગુજરાત સહિત દેશભરના સૈનિકો તરફથી જવાબ માંગ્યો હતો. મેજર જનરલ સતબીરસિંહે વધુમાં જણાવ્યું હતું કે, મોદી સરકારે ૧૪ઓગસ્ટ,૨૦૧૫ના સ્વતંત્રતા દિવસના અવસરે જંતરમંતર પર આંદોલનકારી સૈનિકો પર હુમલા કરી તેમનું અપમાન કરવામાં કોઇ અસર છોડી ન હતી. તા.૩૧ ઓકટોબર,૨૦૧૭ના રોજ નરેન્દ્ર મોદીએ વન રેન્ક, વન પેન્શનની માંગ કરનાર સૈનિકો અને તેમની વિધવાઓનું અપમાન કરીને ફકત તેમની ધરપકડ જ ના કરી પરંતુ બળપૂર્વક તેમને ત્યાંથી ભગાડવામાં આવ્યા હતા. એ સમયે પટેલ, નવી દિલ્હી ખાતેથી ૧૨ ભૂતપૂર્વ સૈનિકોની ધરપકડ કરાઇ હતી. વિરોધ કરનારનો અવાજ દબાવવો, જનમાનસના અવાજને કચડી નાંખવો અને લોકતંત્રનું ગળુ દબાવવું એ કેન્દ્રની મોદી સરકારની હવે ઓળખ બની ગઇ છે. : મેજર જનરલ સતબીરસિંહ દ્વારા ગંભીર આરોપો