ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનની પ્રચાર ઝુંબેશનો ગુરુવારે આખરી દિવસ છે અને છેલ્લી ઘડીઓમાં જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે તો ભાજપ છેલ્લી ઘડીએ તેનું હિન્દુત્વ કાર્ડ ખેલે તેવી આશંકાઓ પણ સાચી પડી છે. ગોંડલમાં ફાયર બ્રાંડ નેતા ઉમા ભારતીએ પ્રચાર કર્યો હતો.વિધાનસભા ચૂંટણીના રસપ્રદ જંગમાં આખરે ભાજપ તેના હિન્દુત્વ કાર્ડ તરફ વળ્યું છે. રામમંદિર સુનાવણી મુદ્દે કપિલ સિબ્બલે કરેલી દલીલને મુદ્દો બનાવીને બુધવારે પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તો રામમંદિરને મુદ્દો બનાવી દેવામાં આવ્યો છે ત્યારે બુધવારે રાત્રીના સમયે ભાજપના ફાયર બ્રાંડ નેતા ઉમા ભારતીએ ગોંડલમાં સભા ગજવી હતી જેમાં કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ કોંગ્રેસને આડેહાથ લઈને કટોકટીની યાદ અપાવી હતી. તેમજ ગોંડલના ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજાને વિજયી બનાવવા હાકલ કરી હતી. આ તકે કેન્દ્ર અને રાજ્ય સરકારના ભરપૂર વખાણ કરીને કોંગેસના શાસનને વખોડી કાઢ્યું હતું એટલું જ નહિ પરંતુ ગુજરાતમાં ભાજપને ૧૬૦ સીટ મળશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.