આરબીઆઈની પોલિસી સમીક્ષાની બેઠક આજે શરૂ થઇ હતી. આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં આજે બેઠક શરૂ થયા બાદ આવતીકાલે વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવશે કે કેમ તે અંગે નિર્ણયની જાહેરાત કરાશે. ફુગાવાને અંકુશમાં લેવા ઉપર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરાશે. તમામ સંબંધિત લોકો એમપીસીની બેઠકમાં પરિણામની રાહ જોઇ રહ્યા છે. ઇન્ડસ્ટ્રી અને શેરબજાર સહિત તમામ સંબંધિતો ઉત્સુકતાપૂર્વક આની રાહ જોઈ રહ્યા છે. ઓક્ટોબર સમીક્ષામાં એમપીસી દ્વારા ફુગાવો વધવાની દહેશત વચ્ચે બેંચમાર્ક વ્યાજદર યથાવત રાખ્યા હતા. વર્તમાન નાણાંકીય વર્ષ માટે વિકાસ દરનો અંદાજ ઘટાડીને ૬.૭ ટકા કરાયો હતો. ઓગસ્ટ મહિનામાં આરબીઆઈએ વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો હતો. આની સાથે જ વ્યાજદર છ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો. બેંકરો અને નિષ્ણાતોનો મત છે કે, આરબીઆઈ સતત બીજી વખત વ્યાજદરને યથાવત રાખશે. કારણ કે ફુગાવો વધવાની ચિંતા સતાવી રહી છે. ક્રેડિટ રેટિંગ એજન્સી દ્વારા તાજેતરના સમયમાં જ ભારતના આશાસ્પદ ચિત્રને રજૂ કર્યા બાદ સ્થિતિમાં સુધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. ક્રેડિટ રેટિંગ એજન્સી આઈસીઆરએનું કહેવું છે કે, આરબીઆઈ આવતીકાલે પોલિસી રેટને યથાવત છ ટકાના દરે જાળવી રાખશે. કારણ કે ફુગાવો વધવાની ચિંતા સતાવી રહી છે. ઓક્ટોબર મહિનામાં હોલસેલ પ્રાઇઝ આધારિત ફુગાવો છ મહિનાની ઉંચી સપાટીએ પહોંચીને ૩.૫૯ ટકા સુધી પહોંચી ગયો હતો. ઓક્ટોબર મહિનામાં રિટેલ ફુગાવો ૭ મહિનાની ઉંચી સપાટીએ પહોંચીને ૩.૫૮ ટકા રહ્યો હતો. પાંચ ત્રિમાસિક ગાળામાં ઘટાડો થયા બાદ જીડીપી વૃદ્ધિદરમાં સુધારો થયો છે. વર્ષ ૨૦૧૭-૧૮ના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિદર એપ્રિલ-જૂનના અગાઉના ગાળા દરમિયાન ૫.૭ ટકાની સામે ઉંચો રહ્યો છે.