ગ્રાહક મુલ્ય ઇન્ડેક્સ (સીપીઆઇ) પર આધારિત ફુગાવાના દરમાં આગામી મહિનામાં વૃદ્ધિ થવાના સંકેત દેખાઇ રહ્યા છે. નિષ્ણાંતોના કહેવા મુજબ અર્થવ્યવસ્થામાં ચક્રિય સુધારા અને રાજ્યો દ્વારા વેતન પંચ દ્વારા સંબંધિત વૃદ્ધિને લાગુ કરવામાં આવ્યા બાદ આવનાર મહિનામાં સીપીઆઇ ફુગાવો વધી શકે છે. કેલેન્ડર વર્ષની શરૂઆતમાં નબળી માંગ અને નોટબંધીના કારણે પેદાશોની મોંઘવારીના કારણે કેટલીક અસર જોવા મળી રહી છે. ખાદ્ય ચીજવસ્તુઓ અને ફ્યુઅલની કિંમતોમાં વૃદ્ધિ થયા બાદ ઓક્ટોબર મહિનામાં સીપીઆઇ પર આધારિત ફુગાવો વધીને સાત મહિનાની ઉંચી સપાટી પર પહોંચી ગયો હતો. સીપીઆઇ ફુગાવો ૩.૫૮ ટકા સુધી પહોંચી ગયો હતો. જાપાનની નાણાંકીય સેવા આપનાર કંપની નોમુરાના કહેવા મુજબ જીએસટી દરમાં ઘટાડો થવાના કારણે વસ્તુઓની કિંમતમાં કેટલાક સ્તરે ઘટાડો થયો છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે સીપીઆઇ ફુગાવો ભારતીય રિઝર્વ બેંકના ચાર ટકાના લક્ષ્ય કરતા થોડોક ઉપર રહી શકે છે. નાણાંકીય સેવા આપનાર કંપની મોર્ગન સ્ટેન્લીએ કહ્યુ છે કે મકાન ભાડા ભથ્થા અને રાજ્યો દ્વારા વેતન પંચ સાથે સંબંધિત વૃદ્ધિને લાગુ કરવામાં આવ્યા બાદ તેની સીધી અસર જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે ખાદ્ય ચીજવસ્તુઓ અને ખાસ કરીને શાકભાજીના ભાવમાં તેજીથી વધારો થયો છે. આના કારણે રીટેલ ફુગાવો ઓક્ટોબર મહિનામાં વધીને ૩.૫૮ ટકા થઇ ગયો છે. આ ફુગાવો સાત મહિનાની ઉંચી સપાટી પર છે. આ વર્ષે માર્ચમાં ૩.૮૯ ટકા બાદ રીટેલ ફુગાવાનો દર સર્વોચ્ચ ઉંચી સપાટી પર છે. સીપીઆઇ આધારિત મોંઘવારીનો દર સપ્ટેમ્બર મહિનામાં ૩.૨૮ ટકા રહ્યો હતો. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં આ દર ૪.૨ ટકા રહ્યો હતો. શાકભાજી વર્ગમાં મોંઘવારીનો દર બે ગણો થઇને ૭.૪૭ ટકા થઇ ગયો હતો. રીટેલ ફુગાવાને લઇને નિષ્ણાંતોમાં પણ વિચારણા ચાલી રહી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ