પાકિસ્તાને આ વર્ષે આંતરરાષ્ટ્રીય સરહદ અને વાસ્તવિક અંકુશ રેખા ઉપર ૭૨૦ વખત યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે. છેલ્લા સાત વર્ષમાં સંઘર્ષ વિરામના ભંગનો આંકડો સૌથી વધારે નોંધાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાની સુરક્ષા દળોએ આંતરરાષ્ટ્રીય સરહદ અને એલઓસી પર આ વર્ષે ઓક્ટોબર સુધી ૭૨૪ વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. ૨૦૧૬માં પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા ૪૪૯ વખત યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો હતો. મંત્રાલયના આંકડા મુજબ ઓક્ટોબર સુધી પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં ૧૨ નાગરિકો અને ૧૭ સુરક્ષા જવાનો શહીદ થયા છે. એટલું જ નહીં પાકિસ્તાનના ગોળીબારમાં ૭૯ નાગરિકો અને ૬૭ સૈનિકો ઘાયલ થયા છે.
પાકિસ્તાન અને ભારત વચ્ચે વર્ષ ૨૦૦૩થી આંતરરાષ્ટ્રીય સરહદ અને એલઓસી પર યુદ્ધ વિરામ અમલી છે પરંતુ સામાન્યરીતે પાકિસ્તાન આ સમજૂતિને ભંગ કરીને ગોળીબાર કરે છે. પાકિસ્તાનની સાથે ભારતની ૩૩૨૩ કિલોમીટર લાંબી સરહદ છે જેમાં જમ્મુ કાશ્મીરમાં ૨૨૧ કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ છે જ્યારે ૭૪૦ કિલોમીટર લાંબી એલઓસી છે. ૨૦૧૬માં યુદ્ધ વિરામ ભંગની ૪૪૯ ઘટનાઓ બની હતી જેમાં ૧૩ સુરક્ષા જવાનો ઘાયલ થયા હતા. ૨૦૧૪માં પાકિસ્તાન તરફથી યુદ્ધ વિરામ ભંગના ૫૮૩ બનાવો બન્યા હતા.