ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની ૮૯ સીટ માટે કુલ ૯૭૭ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહી ગયા છે. કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને આવરી લેતી ૮૯ સીટ માટે ચૂંટણી મેદાનમાં રહેલા ૯૭૭ ઉમેદવારોના મુખ્યમંત્રી વિજય રૂપાણી, અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને બાબુ બોખિરિયા પણ છે. પ્રથમ તબક્કામાં નવમી ડિસેમ્બરના દિવસે મતદાન યોજાનાર છે. આ આંકડાને ધ્યાનમાં લેવામાં આવે તો પ્રતિ સીટ ઉપર ૧૧ ઉમેદવારોને સરેરાશ ગણી શકાય છે. બીજી બાજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટેનું ચિત્ર ૩૦મી નવેમ્બરના દિવસે સ્પષ્ટ થશે. તે વખતે ઉમેદવારીપત્રો પરત ખેંચવા માટેની છેલ્લી તારીખ રહેશે. બીજા તબક્કામાં ૧૪મી ડિસેમ્બરના દિવસે ૯૩ સીટ માટે મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્ર પરત ખેંચવામાં આવ્યા બાદ ૯૭૭ ઉમેદવારો હવે ચૂંટણી મેદાનમાં રહી ગયા છે. અધિકારીઓના કહેવા મુજબ ૮૯ સીટ માટે ૧૫૦૦ ફોર્મ ભરવામાં આવ્યા હતા જેમાં ભારત અને કોંગ્રેસના એકએક બંને ઉમેદવારોનો સમાવેશ થાય છે. જો કે, ઉમેદવારીપત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખે ૫૦૦ ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રો પાછા ખેંચી લીધા હતા. દાખલ કરવામાં આવેલા ઉમેદવારીપત્રો મુજબ અને નોમિનેશન બાદ કચ્છમાં છ સીટ માટે ૮૦ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. આવી જ રીતે સૌરાષ્ટ્રમાં ૪૮ સીટ માટે ૫૭૮ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. આવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં ૩૫ સીટ માટે ૩૧૯ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમમાંથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે ૧૫ ઉમેદવારો છે. જ્યારે શક્તિસિંહ ગોહિલ અન્ય ૧૬ ઉમેદવારોનો સામનો કરી રહ્યા છે. કેબિનેટ પ્રધાન બાબુ બોખિરિયા ૧૦ ઉમેદવારોનો સામનો કરી રહ્યા છે જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાનો સમાવેશ થાય છે. સૌથી વધુ ઉમેદવારોની વાત કરવામાં આવે તો જામનગર ગ્રામિણ સીટ પર ૨૭ ઉમેદવાર મેદાનમાં છે. બોટાદમાં ૨૫, જામનગર ઉત્તરમાં ૨૪, ખંભાળિયામાં ૨૦ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ભાગ્ય અજમાવી રહ્યા છે. સૌથી ઓછી ઉમેદવારોની સંખ્યા ધરાવતી સીટની વાત કરવામાં આવે તો ઝઘડિયા એસટી અને ગણદેવી એસટીમાં ત્રણ-ત્રણ ઉમેદવારો મેદાનમાં છે. ભાવનગર પૂર્વ અને મહુઆ એસટીમાં ૪-૪ ઉમેદવારો છે.