પદ્માવતી ફિલ્મને લઇને હોબાળો મચેલો છે. ફિલ્મની રજૂઆતને લઇને નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. આને ધ્યાનમાં લઇને એક બાજુ ફિલ્મની રજૂઆત રોકી દેવામાં આવી છે. બીજી બાજુ ફિલ્મની બાકી ટીમની સાથે સાથે ફિલ્મની અભિનેત્રી દિપીકાના આવાસ ઉપર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિપીકાની તકલીફ દિન પ્રતિદિન વધી રહી છે. તેના આવાસ ઉપર પોલીસ ટીમ ગોઠવી દેવામાં આવ્યા બાદ ચાંપતી નજર રખાઈ રહી છે. એકબાજુ કર્ણી સેના અને બીજી બાજુ તેના જેવા અન્ય સંગઠનોએ સતત ધમકીઓ આપી છે. દિપીકાને મારી નાંખવાની ધમકી પણ મળી રહી છે. સુરક્ષા વધારવામાં આવ્યા બાદ દિપીકાના પરિવાર ઉપર પણ હુમલા થવાની શક્યતાને નકારી શકાય નહીં. દિપીકાના માતા-પિતાના આવાસ બેંગ્લોર ખાતે સુરક્ષા વધારાઈ છે. આ સંદર્ભમાં પોલીસ અધિકારી ગીરીશ નાયકે કહ્યું છે કે, તેના આવાસ જેસીનગરમાં બે પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. થોડાક દિવસ પહેલા જ હરિયાણા ભારતીય જનતા પાર્ટીના નેતા કુંવર સુરજપાલસિંહે પદ્માવતીના કારણે દિપીકા અને નિર્દેશક સંજય લીલાના માથા ઉપર ૧૦ કરોડના ઇનામની જાહેરાત કરી હતી. કુંવરે કહ્યું હતું કે, અમે આ મામલાને હાથમાં લેવા ઇચ્છતા નથી પરંતુ જે કોઇ પણ રાજપૂત રાજા અને રાણીની પ્રતિષ્ઠા ખરડવાના પ્રયાસ કરશે તેને માફ કરવામાં આવશે નહીં. આટલા વિવાદ બાદ કેટલાક ચાહકો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો હવે સમર્થન અને વિરોધમાં સામે આવી રહ્યા છે. સુપર સ્ટારને બચાવવા માટે વહીવટીતંત્ર તરફથી વધુ વાત કરવામાં આવી રહી નથી. પદ્માવતી ફિલ્મમાં દિપીકાએ ટાઇટલ રોલની ભૂમિકા અદા કરી છે જ્યારે શાહીદ કપૂરે રાણા રતનસિંહની ભૂમિકા અદા કરી છે.