રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજકોટ પશ્ચિમની બેઠક માટે આજે વિજયી મૂર્હુતમાં પોતાનું ઉમેદવારીપત્ર ભરવા જવાના છે. આ પ્રસંગે કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલી સહિતના ભાજપના નેતાઓ, આગેવાનો સહિતના મહાનુભાવો પણ તેમની સાથે ખાસ ઉપસ્થિત રહેશે. આજે સાંજે અરૂણ જેટલી અમદાવાદમાં કર્ણાવતી કલબના ગોલ્ડન ગ્લોરી હોલ ખાતે બુધ્ધિજીવીઓ સાથે ખાસ બેઠક યોજી સંવાદ કરશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે રાજકોટ પશ્ચિમની વિધાનસભા બેઠક માટે પોતાનું ઉમેદવારીપત્ર ભરવા જવાના હોઇ પોલીસ દ્વારા સુરક્ષા અને સલામતીનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવાની વ્યવસ્થા કરાઇ છે. મુખ્યમંત્રી સદ્ગુરૂ રણછોડદાસજી આશ્રમ, બાપ્સ સ્વામિનારાયણ મંદિર, બાલાજી હનુમાન મંદિર, માંડવી જૈન દેરાસર, પંચનાથ મહાદેવ મંદિર સહિતના ધાર્મિક સ્થાનોએ દર્શન કરી બહુમાળી ભવન(રેસકોર્સ પાસે) કલેકટર કચેરી ખાતે પહોંચશે અને કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલી સહિત પક્ષના આગેવાનો-મહાનુભાવોની હાજરીમાં પોતાનું ઉમેદવારીપત્ર ભરશે. આ અંગે ભાજપના પ્રદેશ પ્રવકતા ડો. જગદીશ ભાવસારે જણાવ્યું છે કે, ભાજપના રાષ્ટ્રીય નેતા, ગુજરાતના ચૂંટણી પ્રભારી અને કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલી આવતીકાલે તા.૨૦મી નવેમ્બરે સોમવારના રોજ દિલ્હીથી રાજકોટ આવી રહ્યા છે, જયાં તેઓ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજકોટ પશ્ચિમની બેઠક માટે ઉમેદવારીપત્ર ભરવા જવાના છે ત્યારે તેમની સાથે ખાસ હાજર રહેશે. બપોરે અરૂણ જેટલી અમદાવાદ આવશે અને બપોરે ત્રણ વાગ્યે પ્રચાર પ્રસાર સમિતિ, સંકલ્પપત્ર સમિતિ સાથે બેઠક યોજશે અને તેમને માર્ગદર્શન આપશે. ત્યારબાદ કેન્દ્રીય નાણાંમંત્રી જેટલી શહેરની કર્ણાવતી કલબના ગોલ્ડન ગ્લોરી હોલ ખાતે સમાજના બુદ્ધિજીવીઓ સાથે એક ખાસ બેઠક યોજી સંવાદ કરશે. બીજા દિવસે તા.૨૧મી નવેમ્બરે તેઓ દિલ્હી જવા રવાના થશે.
પાછલી પોસ્ટ