ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સ્લેબમાં મોટા ફેરફાર માટે સરકાર ૨૦૦થી વધુ વસ્તુઓ ઉપર ટેક્સ ઘટાડી ચુકી છે. લોકોને આ તમામ ચીજવસ્તુઓને સીધો ફાયદો મળે તેના માટે કેબિનેટે જીએસટી હેઠળ નફાખોરી અટકાયત સત્તા (એન્ટી પ્રોફિટિયરિંગ ઓથોરિટી)ની રચના કરી દીધી છે. તેની રચનાને કેબિનેટે આજે મંજુરી આપી હતી. કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે આજે આ અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, કઠોળની નિકાસ પરથી તમામ પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવ્યા છે. જીએસટી એક્ટમાં એક જોગવાઈ રહેલી છે. જેનાથી કેન્દ્ર સરકારને જીએસટી લાગૂ કરવામાં આવ્યા બાદ કંપની પ્રોડક્ટ અથવા તો સર્વિસની કિંમતમાં કઇ રીતે ફેરફાર કરે છે તેના પર નજર રાખવા માટે કોઇ સંસ્થા બનાવવાનો અધિકાર છે. આનાથી એક બાબત નક્કી થઇ ગઇ છે કે, કંપનીઓ ટેક્સમાં ફેરફાર બાદ લાભને પોતાના ખિસામાં ન રાખે પરંતુ આનો લાભ ગ્રાહકોને પણ મળવો જોઇએ. ઓસ્ટ્રેલિયા અને મલેશિયામાં પણ હાલમાં જીએસટી કાયદો અમલી કરવામાં આવ્યો છે. જેમાં આવી શરત મુકાઈ છે કે, આનો લાભ લોકોને મળવો જોઇએ. ભારતે આ સંદર્ભમાં બંને દેશો પાસેથી અભિપ્રાય મેળવ્યા હતા. આને અમલી કરવા માટે ત્રિસ્તરીય માળખુ બનાવવામાં આવ્યું છે. જીએસટી કાઉન્સિલે એક સ્થાયી સમિતિ બનાવી છે જેની પાસે ગ્રાહકો ફરિયાદ મોકલી શકશે. ફરિયાદ નિહાળ્યા બાદ કમિટિ તેમાં સીધીરીતે ડિરેક્ટર જનરલ ઓફ સેફગાર્ડની પાસે મોકલશે. જે ગ્રાહકો દ્વારા મુકવામાં આવેલા આક્ષેપોમાં તપાસ કરશે. જો તપાસ યોગ્ય લાગશે તો દોષિત કંપની ઉપર દંડ લાગૂ કરવા, વધારાની રકમને પરત લેવા માટેના આદેશ જારી કરવા તેમજ કંપનીના લાયસન્સ રદ કરવા સહિતના અધિકાર રહેશે. ઓથોરિટીની અવધિ શરૂઆતમાં બે વર્ષની હશે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ