વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોર બાદ સુરેન્દ્રનગરમાં ચૂંટણી સભા સંબોધવા પહોંચ્યા હતા. અહીં સભા ચાલી રહી હતી ત્યારે એવો બનાવ બન્યો હતો જેનાથી દેશ માટે શહીદી વહોરનાર દરેક જવાનને દુઃખ થાય. અહીં વડાપ્રધાન પાસે મદદની આશ લઈને પહોંચેલી શહીદની બહેનને પોલીસ બેઈજ્જત કરીને સભાસ્થળેથી બહાર કાઢી હતી. બનાવ બન્યો ત્યારે નરેન્દ્ર મોદી સભાસ્થળે પહોંચ્યા ન હતા.સુરેન્દ્રનગરમાં આવેલા લક્ષ્મીપુરામાં રહેતી નસીબાબાનું આજે નરેન્દ્ર મોદીની સભામાં પહોંચી હતી. તેની માંગ હતી કે તેના શહીદ ભાઈ મુલતાની બશીર અહમદની શહીદીની સહાય પરિવારને મળે. તેનો ભાઈ જમ્મુ કાશ્મીરની સરહદે દેશ માટે શહીદી વહોરી હતી. નસીબાબાનું તેની પાડોશી યુવતી સાથે નરેન્દ્ર મોદીની સભામાં પહોંચી હતી. તેની માંગ હતી કે તેના ભાઈની શહીદી બાદ સરકાર આપતી સહાય પૈકીની જમીન પરિવારને ફાળવે. પરંતુ હજુ સુધી તેની સહાય ન મળતી હોવાથી શહેરમાં જ વડાપ્રધાનની સભા હોવાથી તે ત્યાં પહોચી હતી. તે સભામાં આગળ બેઠી હતી પરંતુ પોલીસે તેને બાવળે પકડીને બહાર કાઢી હતી અને પોલીસ જીપમાં બેસાડી દીધી હતી.નર્મદાજિલ્લાના વસંતપુરા ગામના બીએસએફના શહીદ જવાન અશોક તડવીના પરિવારને સરકારે જમીનની ફાળવણી કરી હતી. પરંતુ શુક્રવારે કેવડિયામાં મુખ્યમંત્રીની સભામાં શહીદની પુત્રીએ હોબાળો મચાવ્યો હતો જેને પગલે સુરક્ષાકર્મીઓ તેને ટીંગાટોળી કરીને સભામાંથી બહાર લઈ ગયા હતા. હોબાળા બાદ સરકારે ગણતરીના કલાકોમાં ૨૦૦ ચોરસ મીટરની જમીન ફાળવી છે. ત્યારે સુરેન્દ્રનગરના બનાવમાં પણ એવું લાગી રહ્યું છે કે શહીદીની સહાય લેવી હોય તો મોટા ગજાના નેતાની સભામાં હોબાળો કરવો જરૂરી બન્યો છે.