રાજધાની દિલ્હીમાં ગતરોજ હવાનું પ્રદૂષણ માપનારો એર ઈન્ડેક્સ ૩૪૩ નોંધાયો હતો જે ગુરુવારે નોંધાયેલા એર ઈન્ડેક્સ ૩૬૦ કરતાં થોડો ઓછો હતો. એનો અર્થ એ થયો કે, હવામાં પ્રદૂષણનું પ્રમાણ થોડું ઓછું થયું છે. જોકે હજી દિલ્હીવાસીઓ માટે કોઈ ખાસ મોટી રાહત મળે તેમ નથી જણાઈ રહ્યું. હવામાન વિભાગના નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે પહાડો પરથી આવી રહેલી ઠંડી હવાએ દિલ્હીની હવામાં ભેજનું પ્રમાણ ઓછું કર્યું છે. જેથી પ્રદૂષણના સ્તરમાં થોડો ઘટાડો થયો છે. પરંતુ આ પ્રક્રિયા ટૂંકાગાળાની છે તેમ હવામાન વિભાગના નિષ્ણાંતોનું માનવું છે. આગામી ૫ ડિસેમ્બર બાદ દિલ્હીની હવામાં પ્રદૂષણનું સ્તર ફરી એકવાર વધશે તેમ જણાવાઈ રહ્યું છે.
સીપીસીબીના જણાવ્યા અનુસાર દિલ્હી-એનસીઆરમાં કેટલાક વિસ્તારોમાં વિતેલા ત્રણ દિવસો દરમિયાન પ્રદૂષણમાં વધારો નોંધાયો છે. જેમાં આનંદ વિહાર, ડીટીયુ, મથુરા રોડ, ગાઝિયાબાદ, આર.કે. પુરમ, નોઈડામાં સેક્ટર- ૧૨૫ના વિસ્તારોનો સમાવેશ થાય છે. ઉપરોક્ત બધા જ વિસ્તારોમાં એર ઈન્ડેક્સ ૩૫૦થી વધુ નોંધાયો છે. જેમાં ગાઝિયાબાદ, આર.કે. પુરમ અને નોઈડા સેક્ટર- ૧૨૫માં એર ઈન્ડેક્સ ૪૦૦થી પણ વધુ નોંધાયો છે.સીપીસીબીના એડિશનલ ડાયરેક્ટર ડોક્ટર ડી. સાહાના જણાવ્યા મુજબ રાજધાનીમાં પ્રદૂષણ ઓછું તો થયું છે પરંતુ હવામાં તેનું પ્રમાણ ૩૦૦ એર ઈન્ડેક્સથી ઓછા થવાની શક્યતા નથી જણાઈ રહી. જેથી હાલમાં દિલ્હીવાસીઓ ઉપર જોખમ યથાવત છે તેમ કહી શકાય.
આગળની પોસ્ટ