Aapnu Gujarat
બ્લોગ

તુમ્હારી સુલુ દ્વારા વિદ્યાનું ધમાકેદાર પુનરાગમન

બોલીવુડ એક્ટ્રેસ વિદ્યા બાલન જ્યારે પણ પડદા પર આવે છે તેનો અંદાજ કંઈક અલગ જ હોય છે. એક વખત ફરી વિદ્યાએ આ વાતને સાબિત કરી છે. વિદ્યાની આગામી ફિલ્મ ‘તુમ્હારી સુલુ’નું ટ્રેલર રિલીઝ થયું હતું જેમાં તે  મિડલ ક્લાસ ફેમિલીની મહિલાની ભૂમિકામાં વિદ્યા જોવા મળશે અને આ ફિલ્મના ડાયલોગ્સ એવા છે કે તમે હસી હસીને બઠ્ઠાં વળી જશો.આ ફિલ્મની વાર્તા એક એવી હાઉસવાઈફની આજુબાજુ ફરી રહી છે, જે રેડિયો જોકી બનવા માંગે છે.વિદ્યાનું આ પાત્ર એવું છે જે સામાન્ય મહિલાઓ કરતા કંઈક અલગ છે. સુલોચના રેડિયો જોકી બનાવા માંગે છે. જેને નાઈટ શોમાં હોસ્ટ કરવાની જવાબદારી મળે છે.મહિલાઓ ટ્રેડિશનલ બાબતોથી કંઈક અલગ કરી શકે છે આ ફિલ્મનો કન્સેપ્ટ છે. આ ફિલ્મને સુરેશ ત્રિવેણીએ ડિરેક્ટ કરી છે અને ૧૭ નવેમ્બરનાં રોજ રિલીઝ થશે.

વિદ્યા હિન્દી ફિલ્મોની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. એણે પોતાની એક્ટિંગ કારકિર્દીનો આરંભ ૧૯૯૫માં ટીવી સિરિયલ ‘હમ પાંચ’થી કરી હતી. ૨૦૦૫માં ‘પરિણીતા’ ફિલ્મ સાથે વિદ્યાએ બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. ૨૦૦૬માં ‘લગે રહો મુન્નાભાઈ’ ફિલ્મ પણ એની સફળ ફિલ્મોમાંની એક છે. એની અન્ય ફિલ્મો છે – હે બેબી, ભૂલભૂલૈયા, પા, ઈશ્કિયા, નો વન કિલ્ડ જેસિકા, ધ ડર્ટી પિક્ચર, કહાની, હમારી અધૂરી કહાની, કહાની ૨ વગેરે. એક રાષ્ટ્રીય એવોર્ડ અને પાંચ ફિલ્મફેર એવોર્ડ સહિત અનેક પુરસ્કારો જીત્યાં છે. ભારત સરકારે વિદ્યાને ૨૦૧૪માં પદ્મશ્રીથી સમ્માનિત કરી છે. એ ફિલ્મ નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂરને પરણી છે.વિદ્યા બાલન બીજી વખત આર. જે. (રેડિયો જોકી)ના રોલમાં તુમ્હારી સુલ્લુ નામની ફિલ્મમાં દેખાવાની છે. આ ફિલ્મમાં હવા હવાઇ નામનું રિમીકસ સોંગ પણ છે જેમાં વિદ્યા બાલને જોરદાર ડાન્સ કર્યો છે.  મિસ્ટર ઇન્ડિયામાં શ્રીદેવી પર ફિલ્માવાયેલા આ ગીત પર પોતાને કામ કરવાની તક મળતાં વિદ્યા બાલન ખુબ જ ખુશ છે. તે કહે છે હું પાંચ-છ વર્ષની હતી ત્યારે આ ગીત રિલીઝ થયું હતું. આ ગીત શ્રીદેવીને ખાસ અર્પણ કર્યુ છે. આટલા વર્ષો પછી મને આ ગીત પર કામ કરવા મળ્યું તે નસિબની વાત છે. તુમ્હારી સુલ્લુ એક કોમેડી-ડ્રામા ફિલ્મ છે. જેમાં જેમાં નેહા ધુપીયા, માનવ કોૈલ, આરજે મલિશ્કા મુખ્ય ભૂમિકામાં છે. સુરેશ ત્રિવેણી નિર્દેશીત આ ફિલ્મ ૧૭મીએ આવી રહી છે. હવા હવાઇ રિમીકસ ગીતને કવિતા કૃષ્ણમુર્તિએ સ્વર આપ્યો છે.  બહુ વખત પણ નથી થયો એ સમયગાળાને જ્યારે વિદ્યાના નામનો હિન્દી સિનેમામાં ડંકો વાગતો હતો. વર્ષ ર૦૦૯થી ર૦૧૨નો ફિલ્મીકાળ વિદ્યાના નામ સાથે સંકળાયેલો રહ્યો હતો. ફિલ્મફેર એવોર્ડમાં લગાતાર આ વરસોમાં વિદ્યાએ વિજેતાનું બિરુદ મેળવ્યું હતું. પરંતુ આ સુવર્ણ ભૂતકાળ છે. વિદ્યાનો ફિલ્મી વર્તમાન અંધકારમય છે. તેની ફિલ્મી કરિયર ડામાડોળ છે. જોકે, તે ભારતના સૌથી મોટા ફિલ્મી પ્રોડક્શન હાઉસ ડીઝનીના સર્વેસર્વા સિદ્ધાર્થ રોય કપૂરના ધર્મપત્ની છે. ‘પરિણીતા’, ‘લગે રહો મુન્નાભાઇ’, ‘ભૂલ ભૂલૈયા’, ‘પા’, ‘ઇશ્કિયા’, ‘નો વન કિલ્ડ જેસિકા’, ‘ધ ડર્ટી પિક્ચર’, ‘કહાની’ જેવી એકથી એક ચડિયાતી ફિલ્મોગ્રાફી વિદ્યાની ખાતાવહીમાં બોલે છે. પરંતુ ર૦૧૩નું વર્ષ તેના માટે અપશુકનિયાળ સાબિત થયું. ‘ઘનચક્કર’ ફિલ્મ ઢીબાઇ ગઇ. તે સાથે જ ચારેય દિશામાં ઝળહળતો વિદ્યાનો સૂર્ય આથમવા લાગ્યો અને લગાતાર એક પછી એક ફ્લૉપ ફિલ્મોની સંખ્યામાં વધારો થતો ગયો. એટલું જ નહિ, તેના નામે નિર્માતાઓ પૈસા લગાવવાનું પણ બંધ કરવા લાગ્યા. ‘શાદી કે સાઇડ ઇફેકટ’, ‘હમારી અધૂરી કહાની’, ‘તીન’ અને ‘કહાની-ર’ ફિલ્મ નિષ્ફળ રહી.આ દરેક ફિલ્મ નામી દિગ્દર્શક અને નામી કલાકારો સાથે હતી. વિદ્યાની કરિયરમાં ગ્રહણ લાગી ગયું.વિદ્યાનું નામ હિન્દી સિનેમામાં મહત્ત્વનું ગણાય છે. પરંતુ તેની કરિયરને સ્ટાર્ટ અપ બંગાળી અને મલયાલમ ફિલ્મથી જ મળ્યું હતું. તેનો જન્મ ભલે મુંબઇમાં થયો હોય પણ તેની રહેણીકરણી તમિલ પરિવારની હતી. તે આજે પણ હિન્દી, તમિલ અને મલયાલમ ભાષા સરળતાથી બોલી શકે છે. એટલે જ તો તેણે તેની ફિલ્મી કરિયરની શરૂઆત મલયાલમથી કરવાનું નક્કી કર્યું હતું. તે જ્યારે માસ્ટર ડિગ્રીનો કોર્સ કરી રહી હતી ત્યારે તેને મલયાલમ ફિલ્મની ઓફર થઇ હતી અને એ પણ મોહનલાલ જેવા અભિનેતા સામે. આ ફિલ્મનું નામ ‘ચક્રમ’ હતું, પણ એ ક્યારેય બની જ નહીં. તદુઉપરાંત વિદ્યાએ લગભગ ૧૨ જેટલી મલયાલમ ફિલ્મ સાઇન કરી હતી, પણ બેડ લકના ધબ્બાને લીધે એકપણ ફિલ્મ તેના હાથમાં ન રહી. તેણે માર્ગ બદલીને તમિલમાં જવાનું નક્કી કર્યું. દિગ્દર્શક એન. લિંગુસ્વામીએ વર્ષ ર૦૦રમાં તમિલ ફિલ્મ ‘રન’ માટે તેની પસંદગી કરી પણ હજી તો ફર્સ્ટ શિડ્યુલ પૂરું થાય ત્યાં તેને એક્ઝિટ બતાવી દેવામાં આવી. આ જ ફિલ્મ ફરીથી અભિષેક બચ્ચનને લઇને જીવાએ હિન્દીમાં બનાવી હતી. આવું તો તેની સાથે અનેક વખત થયું. વિદ્યાને સાઇન કરે અને ફિલ્મમાંથી હટાવી દેવામાં આવે.સતત નિષ્ફળતાએ વિદ્યાના માનસ પર ગહેરી અસર છોડી અને તેણે ફિલ્મો જ છોડી દીધી અને ટેલિવિઝન એડવર્ટાઇઝમેન્ટમાં ઝંપલાવી દીધું. તેની મોટાભાગની જાહેરાતોનું દિગ્દર્શન પ્રદીપ સરકારના હાથમાં હતું. વિદ્યાની અદા અને અભિનય જોઇને તેણે તેની કદર કરી પણ તેની પાસે ત્યારે કોઇ ફિલ્મી પ્રોજેક્ટ ન હતો. ફાઇનલી વર્ષ ર૦૦૩માં દિગ્દર્શક ગૌથમ હેલ્ડરે બંગાળી ફિલ્મ ‘ભાલો ઠેકો’ માટે વિદ્યાને સાઇન કરી. સાઇન કરી અને ફિલ્મ પણ રીલિઝ થઇ. આફ્ટર ઓલ વિદ્યાનું સિલ્વર સ્ક્રીન પર ચમકવાનું સપનું સાકાર થયું અને ત્યાં તેની બીજી એક મલયાલમ ફિલ્મ પણ રીલિઝ થવામાં સફળ થઇ. હજી તો તેની કરિયર ઠીકઠાક થવા મથી રહી હતી ત્યાં પ્રદીપ સરકારના હાથમાં ‘પરિણીતા’ ફિલ્મનો પ્રોજેક્ટ આવ્યો. તેના મનમાં તો હિરોઇન નક્કી જ હતી અને તેણે નિર્માતા વિધુ વિનોદ ચોપરાને મનાવી પણ લીધા. અંતે હિન્દી સિનેમામાં વિદ્યાના કદમ પડ્યા અને તેના અભિનય પર વિવેચકો વરસી પડ્યા અને તેણે દર્શકોના દિલ પણ જીતી લીધા.વિધુ વિનોદ ચોપરાએ વિદ્યાના અભિનય પર વિશ્વાસ કરીને રાજ કુમાર હિરાણીને ફિલ્મ ‘લગે રહો મુન્નાભાઇ’ માટે વિદ્યાના નામનો પ્રસ્તાવ મૂક્યો. જે રાજુએ સરળતાથી સ્વીકારી લીધો અને પછી જે થયું એ ઇતિહાસ જાણીતો છે. ‘લગે રહો મુન્નાભાઇ’માં વિદ્યાની અદા જોઇને મહાનાયક અમિતાભ બચ્ચન વિદ્યાના દિવાના બની ગયા હતા. રાતોરાત સ્ટાર બનેલી વિદ્યાની સામે સારી સારી ફિલ્મોની ઓફર થવા લાગી. વિદ્યાએ પણ ધમાકો બોલાવી દીધો અને સિનેવર્લ્ડમાં તેના નામનું પ્રભુત્વ જમાવી દીધું. એવોર્ડ સમારંભ હોય કે હટકે ફિલ્મ. પહેલું નામ વિદ્યાનું બોલાવા લાગ્યું. આજે જે ખિતાબ કંગના રનૌતના નામે છે એ ચાર વર્ષ પહેલાં વિદ્યાના નામે હતો. વિદ્યા પણ એક એવી અભિનેત્રી છે જેણે પોતાનું સ્ટારડમ એકપણ ખાનના સહારા વગર મેળવ્યું છે. વિદ્યાને લેડી આમિર ખાનનું બિરુદ આપી દેવામાં આવ્યું હતું. વિદ્યાની ફિલ્મનો હીરો તો તે પોતે જ હતી. મહાનાયક અમિતાભ બચ્ચનની ‘પા’ ફિલ્મમાં તેણે સાબિત કરી આપ્યું હતું કે વિદ્યા એ ખરેખર ફિલ્મી દુનિયાની વિદ્યા છે.

જ્યારે વિદ્યાની ફિલ્મી કરિયર તેજોમય હતી એ અરસામાં એટલે કે ડિસેમ્બર, ર૦૧૨માં તેણે સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કરી લીધાં. સંસારમાં જેવા તેણે પ્રભુતામાં પગલાં માંડ્યાં કે તેની ફિલ્મી કરિયર ટ્રેક પરથી જ ફંટાઇ ગઇ. લગ્નનો સ્વાદ માણ્યા પછી એકપણ સફળતા વિદ્યાને મળી નથી. જેમ તેના નામે લગાતાર હિટ આપવાનો રેકોર્ડ છે તેમ વર્ષ ર૦૧૨ પછી સતત ફ્લોપ ફિલ્મ આપવાનો પણ તેના નામે એક રેકોર્ડ અકબંધ છે.

વિદ્યા ટ્રેડિશનલ તામ-બ્રામ એટલે કે તમિલ બ્રાહ્મણ પરિવારની દીકરી છે. ફિલ્મોમાં કામ કરવાની ચટપટી એ ટીનેજર થઈ ત્યારથી શરૂ થઈ ગઈ હતી, પણ મમ્મી-પપ્પાએ કહી દીધુંઃ પહેલાં ભણવાનું પૂરું કર, પછી બીજું બધું. વિદ્યાએ મુંબઈની ઝેવિયર્સ કોલેજમાં બીએ વિથ સોશિયોલોજી કર્યું, પછી એમએ પણ કર્યું. ફિલ્મની પહેલી ઓફર મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી મળી. હીરો મોહનલાલ હતા. મલયાલમ ઇન્ડસ્ટ્રીમાં એમનું બહુ મોટું નામ. કોણ જાણે શું થયું કે મોહનલાલને ફિલ્મમેકરો સાથે કોઈક વાતે વાંધો પડી ગયો. ફિલ્મ અધવચ્ચેથી અટકી પડી જે પછી ક્યારેય પૂરી ન થઈ. જેવી રીતે આપણે ત્યાં આમિર ખાનની ફિલ્મ અધૂરી રહી જાય તેવું બનતું નથી તેવી રીતે મલયાલમ ઇન્ડસ્ટ્રીમાં મોહનલાલની ફિલ્મ લટકી પડે તે લગભગ અકલ્પ્ય કહેવાય તેવી વાત ગણાય.

બીજી મલયાલમ ફિલ્મમાંય એવું થયું. ચાર દિવસ કામ કર્યા બાદ વિદ્યાને કોઈ કારણ બતાવ્યા વિના એને કાઢી મૂકવામાં આવી ને એની જગ્યાએ બીજી કોઈ હિરોઇનને લઈ લેવામાં આવી. ઇન્ડસ્ટ્રીમાં ગણગણાટ શરૂ થઈ ગયો. કેમ આમ થયું? પેલી વિદ્યા બાલન નામની ન્યૂકમર બૂંદિયાળ છે, એનાં પગલાં પડયાં ને મોહનલાલની ફિલ્મની વાટ લાગી ગઈ! આવી વાત ફેલાતાં કેટલી વાર લાગે? મોહનલાલની હિરોઇન તરીકે સિલેક્ટ થઈ હતી એટલે માત્ર એના જોરે વિદ્યાને ધડાધડ કુલ બાર ફિલ્મો મળી ગઈ હતી, પણ વિદ્યા પનોતી છે એવી છાપ ઊભી થતાં આ તમામ ફિલ્મોમાંથી એને પડતી મૂકવામાં આવી!વિદ્યાએ તમિલ ફિલ્મોમાં ટ્રાય કરવાનું શરૂ કર્યું. વિદ્યાની અપશુકનિયાળવાળી છાપ અહીં પણ પહોંચી ચૂકી હતી. વિદ્યાને એની પહેલી તમિલ ફિલ્મમાંથી પણ પડતી મૂકવામાં આવી. બીજી ફિલ્મ શરૂ થઈ પછી સેટ પર ખબર પડી કે આ તો સેક્સ કોમેડી છે. એને જે સ્ટોરી સંભળાવવામાં આવી હતી તે કંઈક જુદી હતી. આ વખતે વિદ્યા ખુદ ખસી ગઈ. તે સાથે મલયાલમ ઉપરાંત તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દરવાજા પણ એના માટે બંધ થઈ ગયા.

કામ મેળવવા માટે ઘાંઘી થયેલી વિદ્યાને આખરે એક મ્યુઝિક વીડિયોમાં ચમકવાનો મોકો મળ્યો. યુફોરિયા બેન્ડનો આ વીડિયો હતો. પ્રદીપ સરકાર ડિરેક્ટર હતા. વિદ્યાના હાર્ડ લક જુઓ. આ વખતે મ્યુઝિક કંપનીનો કંઈક કાનૂની લોચો ઊભો થયો ને મ્યુઝિક વીડિયો ક્યારેય બન્યો જ નહીં!

ત્રણ-ચાર વર્ષની આકરી સ્ટ્રગલમાં વિદ્યાએ શું મેળવ્યું? કશું નહીં. બાર મલયામલ ફિલ્મોમાંથી જાકારો મેળવ્યો. બે તમિલ ફિલ્મોમાં લાત પડી. એક મ્યુઝિક વીડિયો કર્યો પણ એય રિલીઝ ન થયો. આટલાં બધાં રિજેક્શન સહેવાં સહેલાં નથી. માણસનું દિલ ભાંગી જાય, હિંમત હારી જાય, પોતે ખરેખર બૂંદિયાળ છે, એવું માનવા લાગે, પણ વિદ્યા જેનું નામ. એ તૂટી નહીં, એણે આશા ન છોડી,હાર ન માની. કદાચ સહનશક્તિની પરાકાષ્ઠા આવી જાય પછી પણ માણસ ગમેતેમ કરીને જુસ્સો ટકાવી રાખે, શક્તિનું એકેએક ટીપું નિચોવાઈ ગયું હોય છતાં પૂરી તાકાતથી લડવાનું ચાલુ રાખે તો ઉપરવાળો સામે જોતો હોય છે.

પ્રદીપ સરકાર પોતાની કરિયરની પહેલી ફિલ્મ બનાવી રહ્યા હતા – ’પરિણીતા’. વિધુ વિનોદ ચોપડા જેવા ટોચના પ્રોડયુસર, સંજય દત્ત-સૈફ અલી ખાન જેવા બબ્બે મોટા હીરો. પ્રદીપ સરકારે જીદ કરીઃ હિરોઇન તરીકે હું વિદ્યા બાલનને જ લઈશ, હું ઓળખું છું એ છોકરીને, એ સરસ કામ કરશે. વિધુ વિનોદ ચોપડા એમ આસાનીથી કેવી રીતે માની લે? વિદ્યાનાં ગણ્યાં ગણાય નહીં એટલી વાર ઓડિશન લેવામાં આવ્યાં. આ પ્રોસેસ મહિનાઓ સુધી ચાલી. વિદ્યા દરેક ઓડિશનમાં પોતાનું બેસ્ટ આપતી રહી. આખરે ચોપડાસાહેબ માન્યા.’પરિણીતા’માં વિદ્યા લીડ હિરોઇન બની. આ વખતે ફિલ્મ વિના વિઘ્ને પૂરી થઈ ને રિલીઝ થઈ. એટલું જ નહીં, બમ્પર હિટ પુરવાર થઈ. લોકોને વિદ્યા બાલન નામની આ નવી હિરોઇન ખૂબ ગમી. ત્યારબાદ એક પછી એક ફિલ્મો આવતી ગઈ. અમુક સારી, અમુક નબળી. ’લગે રહો મુન્નાભાઈ’ અને ’ભૂલભૂલૈયા’ જેવી ફિલ્મો વખણાઈ તો ’હે બેબી’ અને ’કિસ્મત કનેક્શન’ માટે એની ટીકા પણ થઈ.વિદ્યાને સમજતાં વાર ન લાગી કે ટિપિકલ હિરોઇનની જેમ બનીઠનીને રૂપાળાં દેખાવાની કે નાચવા-ગાવાની જરૂર નથી. એણે પોતાની ઓરિજિનાલિટી સાચવી રાખવાની છે.

’ઇશ્કિયા’માં બ્રિલિયન્ટ પરફોર્મન્સ આપીને એ પાછી ફોર્મમાં આવી. ’નો-વન કિલ્ડ જેસિકા’માં એનો નોન-ગ્લેમરસ રોલ પ્રશંસા પામ્યો. ત્યારબાદ ’ધ ડર્ટી પિક્ચર’ અને ’કહાની’એ તો વિદ્યાને કરિયરના શિખર પર પહોંચાડી દીધી.

Related posts

MORNING TWEET

aapnugujarat

नये भारत का संदेश : न्यूजप्रिन्ट पर ड्युटी और ओन ड्युटी पत्रकारो को नो एन्ट्री..!

aapnugujarat

ભારતમાં આત્મહત્યા કરવા પાછળ સૌથી મોટું કારણ લગ્ન બાદ પારિવારિક સમસ્યાઓ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1