ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી આજે પણ ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનના ભાગરુપે જુદા જુદા વિસ્તારમાં પહોંચ્યા હતા. ગુજરાતમાં હાથ ધરવામાં આવેલા ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનના અંતિમ દિવસે રુપાણીએ ખેડા જિલ્લાના કઠલાલ ખાતે અભિયાનમાં જોડાઇને ભાજપની વિકાસ અને રાષ્ટ્રવાદની કાર્યપદ્ધતિને જનજન સુધી પહોંચાડી હતી. કઠલાલ ખાતે ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી બિમલ શાહ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રુપાણીનું કઠલાલના પ્રજાજનો, યુવાનો, મહિલાઓએ કુમકુમ તિલક કરીને સાફો પહેરાવી સ્વાગત કર્યું હતું. ભારત માતા કી જય અને વંદેમાતરમના નારા સાથે સમગ્ર કઠલાલનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વાગત સન્માનના પ્રત્યુત્તરમાં કઠલાલના નાગરિકોને સંબોધતા કહ્યું હતું કે, વિકાસ એ ભાજપનો મિજાજ છે અને ગુજરાતની જનતાને તેના આશીર્વાદ છે. ભાજપ હકારાત્મકતા અને પ્રગતિના માર્ગે છે જ્યારે કોંગ્રેસ નકારાત્મકતા અને વિવાદના માર્ગે ચાલે છે. કોંગ્રેસના ગુજરાત વિરોધી, વિકાસ વિરોધી વલણને ખેડાના મતદારો અને સમગ્ર રાજ્યના મતદારો જાકારો આપીને ગુજરાતનું ગૌરવ વધારે તેવી કઠલાલના નગરવાસીઓને રૂપાણીએ અપીલ કરી હતી. મુખ્યમંત્રી આ પહેલા વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા ખાતે સ્વામિનારાયણ મંદિરે પહોંચ્યા હતા. મંદિરના વડા હરિસ્વરુપ દાસજીને મળ્યા હતા. અહીં પોતાના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતનો વિકાસરથ ક્યારે પણ રોકાશે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભાજપ સરકારની ઉપલબ્ધી એક પછી એક રહી છે. ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા અને સલામતીમાં વધારો થયો છે. ગુજરાતમાં કોમી તોફાનો હવે ઇતિહાસ બન ગયા છે. એક આખી પેઢી છે જેણે તોફાનો જોયા નથી. આ વાતાવરણ ભાજપ સરકારના કારણે ઉભુ થયું છે. રૂપાણીએ આ દરમિયાન કાશ્મીરની ચર્ચાસ્પદ કલમ ૩૭૦ અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, દેશમાં કોમન સિવિલ કોડ બને અને ૩૭૦ની કલમ ખસે તે જરૂરી છે. કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ દૂર થઇને જ રહેશે. કાશ્મીરને કોઇ ભારતથી અલગ કરી શકશે નહીં. ત્રાસવાદને રોકવા સર્જિકલ સ્ટ્રાઇક પણ જરૂર છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ભક્તો રૂપાણી સાથે ઉપસ્થિત રહ્યા હતા.
પાછલી પોસ્ટ