મધ્યપ્રદેશમાં ચિત્રકુટ વિધાનસભા પેટાચૂંટણીના પરિણામ આવી ગયા છે. ચિત્રકુટ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસે શાનદાર જીત મેળવી છે. કોંગ્રેસના ઉમેદવાર નિલાંશુ ચતુર્વેદીએ ભાજપના શંકરદયાળ ત્રિપાઠીને ૧૪૩૩૩ મતોથી હાર આપી છે. નિલાંશુ ચતુર્વેદીને ૬૬૮૧૦ મળ્યા છે જ્યારે ભાજપના ઉમેદવાર શંકર દયાળને ૫૨૪૭૭ મત મળ્યા છે. શરૂઆતથી જ નિલાંશુ ચતુર્વેદી આગળ ચાલી રહ્યા હતા અને છેલ્લે સુધી આગળ રહ્યા હતા. ૧૯ રાઉન્ડની ગણતરી બાદ તેમની શાનદાર જીત થઇ હતી. આ વિધાનસભા ચૂંટણી માટે ૯નવમી નવેમ્બરના દિવસે મતદાન થયું હતું. આશરે ૬૨ ટકા મતદાન થયું હતું. અહીં મુખ્ય ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહી હતી. ભાજપે આ સીટ ઉપર જીત મેળવવા માટે તમામ તાકાત લગાવી હતી પરંતુ પોતાના ગઢમાં જીત મેળવવામાં કોંગ્રેસને સફળતા મળી હતી. આ જીત બાદ કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ રહ્યો હતો. ચૂંટણી પરિણામ ભાજપ માટે નિરાશાજનક સાબિત થયા છે. ચિત્રકુટ વિધાનસભા વર્ષોથી કોંગ્રેસ માટે ગઢ સમાન રહી છે. કોંગ્રેસને આ બેઠક પર હાર આપવા માટે ભાજપ તરફથી આક્રમક પ્રચાર પણ કરવામાં આવ્યો હતો. ચિત્રકુટ વિધાનસભા પેટાચૂંટણી પર મધ્યપ્રદેશની નજર હતી. બીજી બાજુ આ જીત મેળવ્યા બાદ નિલાંશુ ચતુર્વેદીએ કહ્યું હતું કે, મધ્યપ્રદેશમાં હાલમાં કોંગ્રેસ તરફી માહોલ છે અને આગામી દિવસોમાં આ માહોલ વધારે મજબૂત બનશે. નિલાંશી ચતુર્વેદીએ મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, સરકારની કામગીરી દેખાઈ રહી નથી. લોકો નિરાશ થયેલા છે. ચિત્રકુટના પરિણામથી આ બાબત સાબિત થઇ જાય છે.
આગળની પોસ્ટ