દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણમાં ચિંતાજનક રીતે વધારો નોંધાયો હતો. જેના લીધે સમગ્ર દિલ્હીમાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું હતું. પ્રદૂષણ પરમીસિબલ સ્ટાન્ડર્ડે વાયુ પ્રદૂષણને તેના સહન કરવાના સ્તરથી અનેકગણું વધારે ગણાવ્યું હતું. મંગળવારે સવારમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે દિલ્હીમાં હવાની ગુણવત્તાની સ્થિતિ ઘણી ગંભીર જણાવી હતી.સૂત્રોનું માનીએ તો, દિલ્હીમાં વાતાવરણની સ્થિતિમાં આગામી ૪૮ કલાકમાં સુધારો નહીં આવે તો સ્કૂલ-કોલેજ બંધ કરવાની ફરજ પડી શકે છે. અને વાહનોમાં પણ ‘ઓડ-ઈવન’ ફોર્મ્યુલા ફરીવાર લાગુ કરવામાં આવી શકે છે. સોમવારે સાંજે ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટીને ૫૦૦ મીટર સુધી પહોંચી ગઇ હતી. જે મંગળવારે સવારે સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. ધુમ્મસના કારણે દિલ્હીના ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી ૧૦૦ મીટરથી પણ ઓછી થઈ ગઈ હતી. જેના લીધે ૨૦ જેટલી વિમાની ઉડાનો પર તેની અસર જણાઈ હતી.ઈન્ડિયન મેડિકલ એસોસિએશને આ અંગે દિલ્હી સરકારને પત્ર લખ્યો છે. જેમાં સ્કૂલોને તરત બંધ કરવામાં આવે તેમ જણાવવામાં આવ્યું છે. ઉપરાંત જ્યાં સુધી જરુરી ન હોય ત્યાં સુધી લોકોને ઘરની બહાર નહીં નીકળવા પણ જણાવવામાં આવ્યું છે.ગત વખતે દિલ્હીમાં હવાની ગુણવત્તામાં ૨૦ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ ગંભીર સ્થિતિ જણાઈ હતી. ત્યારથી જ પ્રદૂષણ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. અને હવાની ગુણવત્તા પણ ઘણી જ ખરાબ સ્તરની નોંધાઈ છે. જોકે હવામાનખાતાના જણાવ્યા મુજબ આ સ્થિતિ અત્યંત ગંભીર કરતાં ઘણી સારી છે. તેમ છતાં હવાના વૈશ્વિક માપદંડ કરતાં આ પ્રદૂષણ ઘણું ગંભીર છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ