કોંગ્રેસના યુવા નેતાઓ જ્યોતિરાદિત્ય સિંધિયા અને જિતિન પ્રસાદે પક્ષ સાથે છેડો ફાડીને ભાજપનો ભગવો ધારણ કર્યા બાદ હવે વધુ એક નેતા સચિન પાયલટને લઈને લાંબા સમયથી ખેંચતાણ જાેવા મળે છે. રાજસ્થાનના સરકારમાં ઘમસાણ બાદ સચિન પાયલટની નારાજગી દૂર કરવા માટે કોંગરેસ તમામ પ્રયાસો કરી છૂટવા તૈયાર છે. સચિન પાયલટને મનાવવાની જવાબદારી હવે પ્રિયંકા ગાંધીએ ઉપાડી છે.
રવિવારે પ્રિયંકા ગાંધી અને સચિન પાયલટ વચ્ચે બેઠક યોજાઇ જેમાં પ્રિયંકા ગાંધી પાયલટને કોંગ્રેસના વિમાનમાં જ સવાર રહેવા માટે મનાવી લીધા હોવાની વાત બહાર આવી છે.સૂત્રોના મતે સચિન પાયલટ સતત પ્રિયંકા ગાંધીના સંપર્કમાં છે અને પ્રિયંકાએ તેમને ભરોસો અપાવ્યો છે કે તેમની જે કંઈ પણ નારાજગી હશે તેનો ઉકેલ લાવવામાં આલશે. પ્રિયંકાએ સચિનને ધીરજ રાખવા જણાવ્યું છે.
રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગહેલોત અને સચિન પાયલટ વચ્ચે અનેક મુદ્દે મતભેદ હોવાની વાત ચર્ચાઈ રહી છે. ગત વર્ષે પણ પાર્ટીના બન્ને નેતાઓ વચ્ચે અંતર વધી ગયું હોવાથી પાર્ટી હાઈકમાન્ડને મધ્યસ્થી કરવાની ફરજ પડી હતી. તે વખતે પણ પ્રિયંકા ગાંધીની ભૂમિકા મહત્વની રહી હતી.તે વખતે હાઈકમાન્ડે એક સમાધાન સમિતિનું ગઠન કર્યું હતું. તાજેતરમાં જ સચિન પાયલટે એવું નિવેદન કર્યું હતું કે એક વર્ષ વિતી ગયું હોવા છતાં સમિતિ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સમાધાન સમિતિએ હજી સુધી પોતાનો રિપોર્ટ સોંપ્યો નથી.સચિન પાયલટે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની અડધી ટર્મ પૂર્ણ થઈ ગઈ છે છતા સમિતિએ કોઈ કાર્યવાહી નથી કરી તે દુર્ભાગ્યપૂર્ણ છે. જેમણે પાર્ટીને સત્તામાં લાવવા દિવસ રાત મહેનત કરી તેમની વાત સાંભળવામાં નથી આવતી.રવિવારે સચિન પાયલટ પ્રિયંકા ગાંધી વાડ્રા ઉપરાંત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય માકન અને પાર્ટી મહાસચિવ કેસી વેણુગોપાલને પણ મળે તેવી શક્યતા છે. આ બન્ને નેતાઓ સમાધાન સમિતિના સભ્યો છે.