ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આજે વડોદરા ખાતે સરદાર પટેલ જયંતિ નિમિતે સરદાર વલ્લભભાઇ પટેલને શ્રધ્ધાંજલિ અને સ્વ. ઇન્દિરા ગાંધીને સ્મરણાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ભરતસિંહ સોલંકીએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજાએ આ વખતે કોંગ્રેસને સત્તા સોંપવાનું મન બનાવી લીધુ છે. ગુજરાતની પ્રજાનો કોંગ્રેસ તરફી ઝોક જોઇને ભાજપ રઘવાયુ બન્યું છે. આ વખતે ભાજપ ગમે તે કરે પણ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો ૧૨૫થી વધુ બેઠકો સાથેનો ભવ્ય વિજય નક્કી છે. દરમ્યાન ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે પણ ભાજપ પર ચાબખા વરસાવતાં જણાવ્યું હતું કે, ભાજપના ૨૨ વર્ષના કુશાસનનો આ વખતે અંત આવશે. હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી જેવા યુવા નેતાઓ આ વખતે કોંગ્રેસની પડખે ઉભા રહેશે એવો આશાવાદ પણ તેમણે વ્યકત કર્યો હતો. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિતે સયાજીગંજ ડેરીડેન ખાતે મોટર સાઇકલ રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીને ફલેગ ઓફ મારફતે પ્રસ્થાન કરાવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે દેશને સરદાર વલ્લભભાઇ પટેલ અને સ્વ. ઇન્દિરા ગાંધી જેવા મહાન નેતાઓ આપ્યા છે, આજે પણ કોંગ્રેસ તેમની વિચારધારાથી આગળ વધી રહી છે, જયારે ભાજપે એવા કોઇ નેતાની ભેટ નથી આપી કે જેને દેશવાસીઓ યાદ કરતા હોય. સરદાર પટેલ અમારા છે એવો દેખાડો કરી ભાજપ રાજકારણ રમી રહ્યું છે. ભાજપનો જન્મ થયો ત્યારથી તે જાતિવાદ અને ધર્મવાદની રાજનીતિ રમતુ આવ્યું છે. કોંગ્રેસ સરદાર પટેલની એકતા અને અખંડિતતાની વિચારધારામાં માનવાવાળો પક્ષ છે. દરમ્યાન સોલંકીએ આવતીકાલથી દક્ષિણ ગુજરાતના ત્રણ દિવસના ચૂંટણી પ્રવાસે આવી રહેલા રાહુલ ગાંધીની મુલાકાત અંગે જણાવ્યું કે, હાર્દિક પટેલ સાથે વાટાઘાટો ચાલી રહી છે, રાહુલ ગાંધી સાથે તેમની મુલાકાત શકય છે. તેમણે ઉમેર્યું કે, હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી જેવા નેતાઓ ભાજપમાં જવા તૈયાર નથી કારણ કે, ભાજપના નેતા અમિત શાહને રિમોટ કંટ્રોલથી ચાલતા નેતાઓ જોઇએ છે, જે આ યુવા નેતાઓને માન્ય નથી. કોંગ્રેસ આવા યુવા નેતાઓને સાથે લઇને ચાલવામાં માને છે કારણ કે, તેઓ લોકોના પ્રશ્નો માટે લડે છે. આ યુવા નેતાઓને બી ટીમ નહી પરંતુ એ ટીમ તરીકે અમે સ્વીકારીએ છીએ. દરમ્યાન ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે આશા વ્યકત કરી હતી કે, હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી યુવા નેતાઓ આ વખતે કોંગ્રેસની પડખે ઉભા રહેશે. આગામી દિવસોમાં દલિત નેતા જીગ્નેશ મેવાણીની રાહુલ ગાંધી સાથે મુલાકાત થાય તેવા સંકેત પણ તેમણે આપ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, આ વખતની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય નિશ્ચિત છે, ભાજપના ૨૨ વર્ષના કુશાસનનો અંત આવશે.
પાછલી પોસ્ટ