કોંગ્રેસ પક્ષ રાજયમાં સત્તા પરિવર્તન ઇચ્છતુ હોય તો વિશ્વકર્મા સમાજના પ્રતિનિધિત્વને પણ ટિકિટ વહેંચણીમાં ઉચિત સ્થાન આપવું જોઇએ. જો કોંગ્રેસ વિશ્વકર્મા સમાજને અન્યાય કરશે તો, આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સહન કરવું પડશે એમ અત્રે ગુજરાત વિશ્વકર્મા નવરત્ન કારીગર મહામંડળના કન્વીનર ગોવિંદભાઇ જાદવે સાફ શબ્દોમાં જણાવ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, તાજેતરમાં કોંગ્રેસે ઓબીસી એકતા સંગઠનના અલ્પેશ ઠાકોર સાથે સમાધાન કરી સમગ્ર ઓબીસી વર્ગ વતી ટિકિટ વહેંચણીની ગતિવિધિ હાથ ધરી છે પરંતુ તે યોગ્ય નથી કારણ કે, વિશ્વકર્મા સમાજનું નેતૃત્વ ભિન્ન છે. ગુજરાત વિશ્વકર્મા નવરત્ન કારીગર મહામંડળના કન્વીનર ગોવિંદભાઇ જાદવે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિશ્વકર્મા નવરત્ન કારીગર મહામંડળ દરજી, સુથાર, લુહાર, કડિયા, કુંભાર, માળી, મોચી, પંચાલ, ધોબી, નાંઇ, પ્રજાપતિ, વાળંદ, ઓડ, સોની, કંસારા, સલાટ, સોમપુરા જેવા સર્જનહાર વિશ્વકર્માની જ્ઞાતિઓ અલ્પેશ ઠાકોરને ઓબીસી નેતા તરીકે સહેજેય સ્વીકારતી નથી, તેઓ ઠાકોર સમાજના નેતા છે, વિશ્વકર્મા સમાજના અનેક આગેવાનો છે, જે કોંગ્રેસની નીતિઓ સાથે વર્ષોથી પ્રતિબધ્ધ છે. ગુજરાતમાં વિશ્વકર્મા જ્ઞાતિ સમૂહની વસ્તી ૧૨થી ૧૩ ટકા જેટલી થાય છે. જેનું ગુજરાતના નવસર્જનમાં રાજયના ટેકનીકલ ક્ષેત્ર સહિત નિર્માણ ક્ષેત્રમાં વ્યાપક પ્રદાન રહેલું છે., તેમછતાં રાજકીય પ્રતિનિધિત્વમાં સમમાજને ભારોભાર અન્યાય થઇ રહ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, વિશ્વકર્મા સમાજની ઉપરોકત હકીકતોને કોંગ્રેસે ગંભરતાથી લેવી પડશે. ગુજરાતનો સમગ્ર વિશ્વકર્મા સમાજ કોંગ્રેસને રાજયમાં સત્તા પરિવર્તનની ઝુંબેશમાં બળ પૂરવા માંગે છે પરંતુ અમારા પ્રતિનિધિત્વને પણ ઉચિત સ્થાન મળે તે જરૂરી છે. તો જ કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીઓમાં જીતી શકે તેમ છે, અન્યથા કોંગ્રેસની બેઠકોની વહેંચણી બુમરેંગ સાબિત થઇ શકે છે.