ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતપોતાની વ્યૂહરચના વધુને વધુ નક્કર કરવામાં આવી રહી છે. આના ભાગરુપે કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધીની સુરતની યાત્રા પહેલા જ અમિત શાહ સુરત પહોંચનાર છે. રાહુલ ગાંધીના આયોજનને નિષ્ફળ બનાવી દેવા અને તેમના આક્રમક કાર્યક્રમને બિનઅસરકારક બનાવવાના હેતુસર આ આયોજન કરવામાં આવ્યું છે. ત્રીજી નવેમ્બરના દિવસે વરાછા ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સભાનું આયોજન કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધી પહોંચે તે પહેલા જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સુરત પહોંચનાર છે. અમિત શાહ કઇ જગ્યાએ સભા કરશે તેને લઇને હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી પરંતુ એમ માનવામાં આવે છે કે તેમની સભા અઠવામાં હોઈ શકે છે. પાટીદાર સમુદાયના લોકો હાલમાં નાખુશ દેખાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી પાટીદાર અને ઠાકોર આંદોલનના કારણે રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. સુરતમાં જીએસટીને લઇને ભારે વિરોધ વંટોળ છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધી અને અમિત શાહની મુલાકાતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમિત શાહ સુરતની યાત્રા દરમિયાન સભા ઉપરાંત પાર્ટીના કાર્યકરો સાથે વિસ્તારપૂર્વક બેઠક કરશે.