શહેરના ઓઢવ નારી સંરક્ષણ ગૃહના ચિલ્ડ્રન હોમમાંથી ગઇ મોડી રાત્રે બે સગીરાઓ ફરાર થઇ જતાં નારી સંરક્ષણ ગૃહના સત્તાવાળાઓની સાથે સાથે પોલીસતંત્ર દોડતું થઇ ગયું હતું. ફરી એકવાર બે સગીરાઓ ઓઢવના નારી સંરક્ષણ ગૃહના ચિલ્ડ્રન હોમમાંથી ફરાર થઇ જતાં ભારે ચકચાર મચી ગઇ હતી. જો કે, પોલીસ તંત્રની ભારે શોધખોળ અને દોડધામ બાદ ગણતરીના કલાકોમાં બંને સગીરાઓની ભાળ મળી જતાં અને તેઓને હેમખેમ સહીસલામત ચિલ્ડ્રન હોમમાં પરત લાવવામાં આવી હતી, જેને પગલે તંત્રની સાથે સાથે નારી સંરક્ષણ ગૃહના સત્તાવાળાઓએ હાશકારો અનુભવ્યો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ઓઢવ નારી સંરક્ષણ ગૃહના ચિલ્ડ્રન હોમમાંથી ગઇ મોડી રાત્રે બે સગીરાઓ બારીની ગ્રીલ તોડી દુપટ્ટા મારફતે નીચે ઉતરી પાછળની સોસાયટીમાં થઇ ફરાર થઇ ગઇ હતી. ચિલ્ડ્રન હોમમાંથી બે સગીરા ફરાર થવાની ઘટનાને લઇ જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી. ઓઢવ પોલીસને જાણ થતાં પોલીસ તંત્ર પણ સગીરાઓને શોધવા માટે દોડતું થઇ ગયું હતું. ભારે શોધખોળ અને સગીરાઓના સંપર્ક સ્થાનો પર ભાળ મેળવવાના પ્રયાસો કરતાં એક સગીરા તેના મામાના ત્યાંથી પકડાઇ ગઇ હતી, જયારે બીજી સગીરા કાલુપુર રેલ્વે સ્ટેશન પાસેથી પકડાઇ ગઇ હતી. બંને સગીરા પોતાના પ્રેમીને મળવા માટે ફરાર થઇ હોવાની પ્રાથમિક વિગતો સામે આવી હતી પરંતુ તેમાં કેટલું સત્ય છે તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે ગણતરીના કલાકોમાં સગીરાઓની ભાળ મેળવી તેઓને સહીસલામત હેમખેમ ઓઢવ નારી સંરક્ષણ ગૃહના ચિલ્ડ્રન હોમમાં પરત સોંપતા નારી સંરક્ષણ ગૃહના સત્તાવાળાઓએ પણ રાહતનો દમ લીધો હતો અને પોલીસનો આભાર માન્યો હતો. જો આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઇ અને બધાને દોડધામ કરવી પડી હતી. સાથે સાથે આ બનાવે ગૃહની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠાવ્યા હતા.
આગળની પોસ્ટ