જાતે બની બેઠલા ગોડમેન આસારામની સામે રેપના કેસમાં સુનાવણી માટે રોઇ તારીખ આપવાનો સુપ્રીમ કોર્ટે સાફ ઇન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટ તરફથી આશારામને કોઇ રાહત મળી નથી. તેમની પેન્ડિંગ રહેલી જામીન અરજી પર વહેલી તકે સુનાવણી કરવાની માંગ કરીને આસારામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ગુજરાતમાં તેમની સામે દાખલ કરવામાં આવેલા રેપ કેસમાં આસારામ પ્રોસીક્યુશનનો સામનો કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે વહેલીતકે સુનાવણી કરવાનો ઇન્કાર કરતા કહ્યું હતું કે, આ મામલો વહેલીતકે હાથ ધરવામાં આવશે. આસારામના વકીલે દલીલ કરી હતી કે, દિવાળીના ગાળા બાદ સુનાવણી માટે આ કેસને વહેલીતકે હાથ ધરવાની જરૂર છે પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે, આગામી વર્ષે ચોથી જાન્યુઆરી સુધી આ કેસને હાથ ધરી શકાશે. સુપ્રીમ કોર્ટની બેંચે અગાઉ કહ્યું હતું કે, ગુજરાતમાં નિચલી અદાલત સમક્ષ ટ્રાયલની પ્રક્રિયામાં વિલંબ થઇ રહ્યો છે. પ્રોસીક્યુશન સાક્ષીઓના પુરાવા નોંધવાની પ્રક્રિયા હજુ સુધી પૂર્ણ કરવામાં આવી નથી. ઓગસ્ટ મહિનામાં કોર્ટે આસારામને આવરી લેતા આ કેસમાં પ્રગતિની ખુબ જ ધીમી ગતિને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. સાથે સાથે નારાજગી પણ વ્યક્ત કરી હતી. આ અંગે પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું. સાથે સાથે ગુજરાત સરકારને આ રિપોર્ટ માહિતી સાથે આપવા માટે કહેવામાં આવ્યું હતું. ભોગ બનેલા વ્યક્તિની શા માટે ચકાસણી કરવામાં આવી રહી નથી તેવો પ્રશ્ન પણ કરવામાં આવ્યો હતો. ભૂતકાળમાં આસારામ દ્વારા દાખલ કરવામાં આવેલી શ્રેણીબદ્ધ જામીન અરજીઓને ફગાવી દીધી છે. ગુજરાત સરકારે કોર્ટમાં સાફ શબ્દોમાં કહ્યું છે કે, બે મહત્વપૂર્ણ સાક્ષીઓના મોત થઇ ચુક્યા છે જ્યારે એક સાક્ષી લાપત્તા છે. અન્ય ૧૭ સાક્ષીઓ હુમલામાં ઘાયલ થયા હતા. આ કેસમાં એકંદરે ૯૨ સાક્ષીઓ રહેલા છે. ૧૨મી એપ્રિલના દિવસે સુપ્રીમ કોર્ટે સુરતની બે બહેનો દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં પ્રોસીક્યુશન સાક્ષીઓના પુરાવા નોંધવાની પ્રક્રિયાને ઝડપી કરવા ગુજરાત ટ્રાયલ કોર્ટને આદેશ કર્યો હતો. બે બહેનોએ આસારામ અને તેમના પુત્ર નારાયણ સાઈ સામે બે જુદી જુદી ફરિયાદો દાખલ કરી હતી જેમાં બંને બહેનોએ અન્ય આરોપોની સાથે સાથે બળજબરીપૂર્વક પકડીને રાખવા અને બળાત્કાર કરવાનો આક્ષેપ કર્યો હતો. આસારામ સામે પોતાની ફરિયાદમાં મોટી બહેને તેના પર વારંવાર ૨૦૦૧ અને ૨૦૦૬ વચ્ચેના ગાળામાં બળાત્કાર ગુજારવાનો આક્ષેપ કર્યો હતો. અમદાવાદ નજીક તેમના આશ્રમમાં તેને બળજબરીપૂર્વક પકડી રાખવામાં આવી હતી. આસારામ અને તેમના પુત્ર નારાયણ સાઇએ તેમની સામે તમામ આક્ષેપોને રદિયો આપ્યો છે. આસારામ ૩૧મી ઓગસ્ટ ૨૦૧૩ના દિવસે જોધપુર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા આસારામ સામે રાજસ્થાનમાં એક અલગ કેસ પણ ચાલી રહ્યો છે. ત્યારબાદથી જ આસારામ જેલની હવા ખાઈ રહ્યા છે.
આગળની પોસ્ટ