કોલકાતા ખાતે આયોજિત તૃણમૂલ કોંગ્રેસની એક મહત્વપૂર્ણ બેઠક દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાના તેવર દેખાડ્યા છે. તેમણે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની માફક જ વિપક્ષી એકતાની વકીલાત જરૂર કરી હતી પરંતુ તેમણે જે પાર્ટીઓના નામ લીધા તેમાં મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસનું નામ ગાયબ હતું.
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર હાલ વિપક્ષી એકતાની વકીલાત કરી રહેલા જણાય છે. તાજેતરમાં જ તેમણે દિલ્હીની મુલાકાત દરમિયાન વિવિધ પક્ષના આશરે એકાદ ડઝન નેતાઓ સાથે અલગ-અલગ બેઠકો કરી હતી. તેમાં કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલનો પણ સમાવેશ થાય છે. તે સિવાય હરિયાણા ખાતે યોજાનારી એક રેલીમાં મમતા બેનર્જી પણ સામેલ થાય તેવી શક્યતા છે.
જોકે તે પહેલા જ ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ પોતાના તેવર દેખાડ્યા છે. તેમની પાર્ટીએ તેમને વડાપ્રધાન પદ માટે યોગ્ય ઉમેદવાર ગણાવ્યા છે. ઉપરાંત તેમણે પોતે જ કોંગ્રેસ અને લેફ્ટ જેવી વિપક્ષી પાર્ટીઓ સાથે હાથ મિલાવવાથી અંતર જાળવવાના સંકેત આપ્યા છે. મમતા બેનર્જીએ ૨૦૨૪માં કોંગ્રેસ અને લેફ્ટ સાથે ગઠબંધન નહીં થાય તેવા સંકેત આપ્યા છે. મમતા બેનર્જીએ કહ્યું હતું કે, નીતીશ કુમાર અને હેમંત સોરેન ઉપરાંત સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, રાજદના તેજસ્વી યાદવ અને અન્ય નેતાઓ ૨૦૨૪માં ભાજપને સત્તામાંથી બેદખલ કરવા માટે તૃણમૂલ કોંગ્રેસનો સાથ આપશે.
મમતા બેનર્જીએ પોતાના સંબોધન દરમિયાન ભાજપના બહાને કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ’તેઓ (ભાજપ) હંમેશા કહે છે કે, તેમના પાસે ૩૦૦ બેઠકો છે. તેમણે યાદ રાખવું જોઈએ કે રાજીવ ગાંધી પાસે ૪૦૦ બેઠકો હતી પરંતુ પછીની ચૂંટણીમાં કોંગ્રેસ હારી ગઈ હતી. ભાજપ પણ હારશે. આ રાજ્યોમાં તેમને ૧૦૦ બેઠકોનું નુકસાન થશે. દેશના અન્ય ક્ષેત્રોની પાર્ટીઓ પણ ટૂંક સમયમાં જ અમારા સાથે આવશે.’
પાછલી પોસ્ટ