કલેક્ટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.એસ. નિનામાના અધ્ય્ક્ષપદે રાજપીપળા કલેક્ટરાલય ખાતે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીઓ-૨૦૧૭ અન્વયે નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં આગામી તા. ૯ ડિસેમ્બર, ૨૦૧૭ ના રોજ યોજાનારી ચૂંટણી અન્વયે ભારતના ચૂંટણીપંચ દ્વારા અમલી બનાવેલ આદર્શ આચાર સંહિતાના અમલીકરણ માટેની જાણકારી આપવા અંગે વિવિધ રાજકીય પક્ષોના હોદ્દેદારો સાથે યોજાયેલી બેઠકને સંબોધતા શ્રી નિનામાએ નર્મદા જિલ્લામાં ઉક્ત ચૂંટણીઓ નિષ્પક્ષ, મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં સુપેરે સંપન્ન થાય તે માટે આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલીકરણમાં જરૂરી સહયોગ મળી રહે તે જોવાનો તમણે ખાસ અનુરોધ કર્યો હતો.
નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.કે. બારીયા, આચારસંહિતાના અમલીકરણના નોડલ અધિકારીશ્રી જી.આર. ધાકરે, ચૂંટણીલક્ષી વિવિધ જવાબદારી સંભાળતા નોડલ અધિકારીશ્રીઓ, રાજકીય પક્ષોના આગેવાનો શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા, શ્રી બહાદુરસિંહ વસાવા, શ્રી મુન્તજીરખાન શેખ ઉપરાંત ચૂંટણીલક્ષી કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી નિનામાએ નર્મદા જિલ્લામાં તા. ૯ મી ડિસેમ્બર, ૨૦૧૭ ના રોજ પ્રથમ તબક્કામાં યોજાનારી ચૂંટણીઓ અંગેના વિગતવાર કામગીરીની રૂપરેખા આપી હતી અને ઉમેર્યું હતું કે, ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીના કાર્યક્રમની જાહેર થયાની સાથે જ આચારસંહિતા લાગુ થઇ જતી હોય છે અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા ત્યાં સુધી તે અમલી બનતી હોય છે.
આ બેઠકમાં શ્રી નિનામાએ ચૂંટણી ખર્ચ મોનીટરીંગની વ્યવસ્થા, રાઉન્ડ-ધી-ક્લોક ચૂંટણી કંટ્રોલ રૂમ, ચૂંટણી સહિતના પ્રકાશન સંબંધી જરૂરી જાણકારીથી વાકેફ કરતા શ્રી નિનામાએ વિવિધ સમિતિઓ અને નોડલ અધિકારીઓની કામગીરી અંગે પણ જાણકારી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ચૂંટણીલક્ષી જાહેરસભા-કાર્યક્રમ વગેરે સંબંધી તમામ પ્રકારની મંજૂરી માટે જે તે ચૂંટણી અધિકારીશ્રીની કચેરી ખાતેથી એક સાથે નિયત સમયમર્યાદામાં મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરાઇ છે. વિવિધ રાજકીય પક્ષોના આગેવાનોએ આ બેઠકમાં જરૂરી સુચનો પણ કર્યા હતા. જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી રાજકીય પક્ષોના આગેવાનોને આદર્શ આચારસંહિતા અંગેની પુસ્તિકા સહિત ચૂંટણીની કામગીરીને લગતું જરૂરી સાહિત્ય પણ પુરૂ પાડવામાં આવ્યું હતું.