ડિસેમ્બર મહિનામાં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર સ્પર્ધા થનાર છે. આવી સ્થિતીમાં પ્રશ્ન હાલમાં એ થઇ રહ્યો છે કે ૨૨ વર્ષના લાંબા ગાળા બાદ કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં શાસનમાં વાપસી કરી શકશે કે કેમ ? ઓપિનિયન પોલની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો આ વખતે પણ ભાજપ જોરદાર દેખાવ કરીને સપાટો બોલાવશે. ભાજપ વર્ષ ૨૦૧૨ કરતા વધારે સીટો જીતી જશે. ઓપિનિયન પોલની વાત કરવામાં આવે તો કોંગ્રેસને હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકુર અને જિગ્નેશ જેવા યુવા નેતાના કારણે કોઇ ફાયદો થશે નહી. ઓપિનિયન પોલમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે જો અલ્પેશ બાદ હાર્દિક અને જિગ્નેશ પણ કોંગ્રેસની સાથે આવી જાય તો ભાજપને રોકી શકાશે નહી. ઓપિનિયન પોલમાં સામેલ રહેલા ૫૨ ટકા લોકો કહી રહ્યા છે કે મોદી સરકારની વિરુદ્ધમાં આ ત્રિપુટી આવી જશે તો પણ તેઓ ભાજપને જ મત આપશે. સરકારના કામ દેખાઇ રહ્યા છે. પરિસ્થિતીનો લાભ લેવાના પ્રયાસમાં રહેલા લોકોને મતદારો મત આપનાર નથી. લોકોના સર્વાગી હિતોમાં કામ થયા છે. ૫૨ ટકા લોકો ભાજપને અને ૩૭ ટકા લોકો કોંગ્રેસને મત આપવા માટે ઇચ્છુક છે. હવે ટાઇમ્સ નાઉ વીએમઆરના ઓપિનિયન પોલમાં ભાજપને ચૂંટણીમાં ૧૧૮-૧૩૪ સીટ મળી શકે છે. જ્યારે કોંગ્રેસને ૪૯-૬૧ સીટ મળી શકે છે. અન્યોના ખાતામાં ત્રણ સીટ જવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. ઓપિનિયન પોલ મુજબ બ્રાન્ડ મોદીનો જાદુ અકબંધ રહ્યો છે. વડાપ્રધાનના ગૃહ રાજ્ય નોર્થ ગુજરાતમાં મોદી ફેક્ટરના કારણે ભાજપનો સ્ટ્રાઇક રેટ ૬૦ ટકાથી વધીને ૮૧ ટકા સુધી રહી શકે છે. નોર્થ ગુજરાતમાં વિધાનસભાની ૫૩ સીટો રહેલી છે. કોંગ્રેસે ગુજરાતમાં નોટબંધી અને જીએસટીને લઇને લડત હાથ ધરી છે. ઓપિનિયન પોલમાં સામેલ થયેલા ૪૨ ટકા લોકો કહે છે કે આના કારણે લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે. જ્યારે ૪૦ ટકા લોકો કહે છે કે આમાં વધુ ઘટાડો થયો છે. વિધાનસભાની ચૂંટણી પહેલા બે જુદા જુદા ઓપિનિયન પોલ જારી કરવામાં આવી ચુક્યા છે. જે ભાજપ માટે રાહતના સમાચાર તરીકે છે. વોટ શેયરની વાત કરવામાં આવે તો ભાજપને ૫૨ ટકા અને કોંગ્રેસને ૩૭ ટકા મત મળી શકે છે. અન્યોના ખાતામાં ૧૧ ટકા મત જઇ શકે છે. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૧૧૫ અને કોંગ્રેસને ૬૧ સીટ મળી હતી. આવી સ્થિતીમાં ઓપિનિયન પોલ ઇશારો કરે છે કે ભાજપ વર્ષ ૨૦૧૨ કરતા વધારે શાનદાર દેખાવ કરનાર છે.
પાછલી પોસ્ટ