ધો.૧૦ અને ૧રની પરીક્ષા માટે તૈયારી કરી રહેલા સીબીએસઇના વિદ્યાર્થીઓને હવે પરીક્ષા માટે થોડો વધુ સમય મળશે. સીબીએસઇએ હવે બોર્ડની પરીક્ષા માર્ચમાં જ યોજવાનો નિર્ણય કર્યો છે.
આ અગાઉ સીબીએસઇના બોર્ડે ફેબ્રુઆરીમાં ધો.૧૦ અને ૧રની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ હવે આ નિર્ણય ફેરવવામાં આવ્યો છે. બોર્ડના અધિકારીઓની દલીલ છે કે વહેલી પરીક્ષા યોજવાથી વિદ્યાર્થીઓના મૂલ્યાંકન પર અસર પડી શકે અને તેથી જ માર્ચમાં પરીક્ષા લેવી જોઇએ.સીબીએસઇએ માનવસંસાધન મંત્રાલયને લખેલા પત્રમાં બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરીમાં યોજવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો કે જેથી પરિણામો વહેલાં આવી શકે અને વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સામેલ થઇ શકે. આથી એવા અહેવાલો હતા કે આ વર્ષે સીબીએસઇની બોર્ડ પરીક્ષાઓ ફેબ્રુઆરીમાં લેવાશે, પરંતુ તાજેતરના અહેવાલો અનુસાર શ્રેણીબદ્ધ બેઠકો યોજ્યા બાદ સીબીએસઇ બોર્ડે હવે પોતાનો નિર્ણય બદલ્યો છે અને હવે રાબેતા મુજબ ધો.૧૦ અને ૧રની પરીક્ષાઓ માર્ચ મહિનામાં જ યોજાશે. આ પરીક્ષાઓમાં અંદાજે ર૭ લાખ વિદ્યાર્થીઓ બેસશે.સીબીએસઇએ ધો.૧રની પરીક્ષામાં ઇકોનોમિક્સ વિષયના મૂલ્યાંકનનું સ્વરૂપ બદલી નાખ્યું છે. સીબીએસઇએ છેલ્લાં ત્રણ વર્ષથી શિક્ષકો તરફથી મળેલા ફીડબેકના આધારે આ ફેરફાર કર્યો છે. હવે આ ફેરફાર હેઠળ ઇકોનોમિક્સ વિષયમાં ૮૦ માર્ક્સની થિયરી અને ર૦ માર્ક્સની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે. વિદ્યાર્થીઓએ અભ્યાસક્રમમાંથી જ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવીને જાન્યુઆરી-ર૦૧૮ સુધીમાં જમા કરાવવો પડશે. ત્યારબાદ ફેબ્રુઆરીમાં નિષ્ણાતો આ વિષયની પ્રેક્ટિકલ પરીક્ષા લેશે.