અમેરિકાના પ્રવાસે ગયેલા મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમને સંબોધતાં જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના રોડ વોશિંગ્ટન કરતાં વધુ સારા છે. શિવરાજસિંહના આ નિવેદન બાદ ટિ્વટર પર ભારે મજાક ઊડી રહી છે.શિવરાજસિંહે વધુમાં જણાવ્યું હતું કે હું છેલ્લાં ૧૨ વર્ષથી મધ્યપ્રદેશનો મુખ્યપ્રધાન છું. હું એ વાત હંમેશાં કહેવા માગતો હતો કે પ્રાથમિક માળખા વિના કોઈ રાજ્ય આગળ વધી શકતું નથી. તેથી સૌથી પહેલાં અમે રાજ્યમાં સારા રોડ બનાવ્યા છે, જ્યારે હું અહીં એરપોર્ટ પર ઊતર્યો હતો. રોડ પર ચાલીને આવ્યો ત્યારે મને લાગ્યું હતું કે અમેરિકાના રોડ કરતાં મધ્યપ્રદેશના રોડ વધુ સારા છે, જોકે શિવરાજસિંહના આ નિવેદન બાદ લોકોએ ટિ્વટર પર ભારે મજાક ઉડાવી હતી અને તેમના આ નિવેદન બાદ મધ્યપ્રદેશના રોડને સારા બતાવવા માટે ટિ્વટર પર વિવિધ પ્રકારના રોડની તસવીરો ટિ્વટ કરવાનું શરૂ કરી દીધું હતું.બીજી તરફ એક એવી પણ હકીકત રજૂ થઈ રહી છે કે શિવરાજસિંહે ભલે મધ્યપ્રદેશના રોડને અમેરિકાના રોડ કરતાં સારા ગણાવ્યા હોય, પરંતુ આંકડા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. ૨૦૧૫ના એનસીઆરબીના આંકડાના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશમાં દરરોજ ૧૧૨ રોડ અકસ્માત થાય છે અને તેમાં ૨૭ લોકોનાં મોત થાય છે એટલું જ નહિ, દેશમાં રોડ અકસ્માતના મામલે એમપી ચોથા સ્થાને આવે છે અને આ જ કારણથી શિવરાજસિંહના નિવેદન બાદ ટિ્વટર મજાક થઈ રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે સારા રોડની વાત છે ત્યારે જ્યારે લાલુપ્રસાદ યાદવ બિહારના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમણે બિહારના રોડની સરખામણી જાણીતી અભિનેત્રી હેમામાલિનીના ગાલ સાથે કરી હતી. અને તે વખતે લાલુને પણ તેમના આ નિવેદન બદલ અનેક પ્રકારની ટીકાનો સામનો કરવો પડ્યો હતો.