એન.એ.કન્સ્ટ્રકશનના બિલ્ડર દ્વારા સેંકડો ગ્રાહકો સાથે એફોર્ડેબલ હાઉસીંગ સ્કીમના ઓઠા હેઠળ છેતરપીંડી આચરાયાના ચકચારભર્યા કેસમાં ગ્રાહક સુરક્ષા પગલા સમિતિની અસરકારક લડત અને અમદાવાદ ગ્રામ્ય ગ્રાહક તકરાર નિવારણ ફોરમની લાલ આંખને પગલે કસૂરવાર બિલ્ડર નીલેશ મુકુંદરાય શાહ દ્વારા કુલ ૪૮ ગ્રાહકોને રૂ.૨૫.૮૮ લાખ જેટલી રકમ ચૂકવવામાં આવી હતી. ગ્રાહકોને ચૂકવવાની થતી બાકીની રકમ ચૂકવી આપવા માટે ગ્રાહક ફોરમે બિલ્ડર નીલેશ મુકુંદરાય શાહને તા.૨૨ ડિસેમ્બર સુધીની મુદત આપી છે. એન.એ.કન્સ્ટ્રકશનના બિલ્ડર દ્વારા સેંકડો ગ્રાહકો સાથે એફોર્ડેબલ હાઉસીંગ સ્કીમના ઓઠા હેઠળ છેતરપીંડી આચરાયાના ચકચારભર્યા કેસમાં ગ્રાહકોને વાર્ષિક ૧૨ ટકા ચઢતા વ્યાજ સાથે મળવાપાત્ર રકમ ચૂકવી આપવા હુકમો કર્યા હોવાછતાં એન.એ.કન્સ્ટ્રકશનના બિલ્ડર નીલેશ મુકુંદરાય શાહ તરફથી ગ્રાહક ફોરમના હુકમને એક વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયા બાદ પણ તેનું પૂર્ણતઃ પાલન કરાયું ન હતું. જેને પગલે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ મુકેશ પરીખે આ કેસમાં અમદાવાદ ગ્રામ્ય ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ બિલ્ડર વિરૂધ્ધ એકઝીકયુશન અરજી દાખલ કરી બિલ્ડર વિરૂધ્ધ અદાલતી તિરસ્કારની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. જેને પગલે બિલ્ડર તરફથી તા.૨૪-૧૦-૨૦૧૭ સુધીમાં ગ્રાહકોને સપ્રમાણ રૂ.૩૫ લાખ ચૂકવવાની બાંહેધરી અપાઇ હતી. જેના અનુસંધાનમાં બિલ્ડર નીલેશ મુકુંદરાય શાહ દ્વારા આજે ૪૮ ગ્રાહકોને ૨૫ લાખ, ૮૮હજાર જેટલી રકમ ગ્રાહક ફોરમ સમક્ષ ચૂકવી આપવામાં આવી હતી સમિતિના પ્રમુખ મુકેશ પરીખે નવા વર્ષમાં ગ્રાહક સુરક્ષાની પ્રથમ સફળતાને આવકારી હતી અને બાકીની રકમ પણ ગ્રાહકોને જલ્દી અપાવવાની ખાતરી ઉચ્ચારી હતી. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું કે, એન.એ.કન્સ્ટ્રકશનના બિલ્ડર નીલેશ મુકુંદરાય શાહ દ્વારા ગુજરાત સરકાર સાથે ૧૨૦૦ કરોડના એમઓયુ કરી નિવાસમાં ઘર એટલે કે, સરકાર માન્ય તેમ જ સરકાર સાથે એફોર્ડેબલ હાઉસીંગ મકાનોની સ્કીમ બનાવી હતી અને ૭૦૦૦થી વધુ ગ્રાહકોએ આ સ્કીમોમાં ફલેટ બુક કરાવ્યા હતા. જો કે, ગ્રાહકો સાથે છેતરપીંડી થતાં સમગ્ર મામલો ગ્રાહક ફોરમ સુધી પહોંચ્યો હતો. જેમાં તા.૨૦-૧૦૨૦૧૬ના રોજ અને તે પછીના તબક્કાની સુનાવણીમાં ગ્રાહક ફોરમે ગ્રાહકોને રૂ.૨,૬૧,૦૦૦ વાર્ષિક ૧૨ ટકાના ચઢતા વ્યાજ અને ખર્ચના રૂ.૬૦૦૦ સાથે ચૂકવી આપવાના સંખ્યાબંધ હુકમો કર્યા હતા. આ હુકમને એક વર્ષ અને ૧૦ મહિના વીતી જવા છતાં બિલ્ડર દ્વારા તેનું સંપૂર્ણતઃ પાલન કરાયુ ન હતુ અને હજુ સુધી કેટલાક ગ્રાહકોને રૂ.૬૧,૦૦૦નુ પાર્ટ પેમેન્ટ કરવામાં આવ્યું હતું. અગાઉ બિલ્ડરે ઓગસ્ટ સુધીમાં બાકી લ્હેણાં ચૂકવી આપવાની ખાત્રી આપી હતી પરંતુ તેનું પણ પાલન થયું નથી. આ સંજોગોમાં કસૂરવાર બિલ્ડર નીલેશ મુકુંદરાય શાહ વિરૂધ્ધ કોર્ટે અદાલતી તિરસ્કાર અને અવમાનની કાર્યવાહી હાથ ધરી કલમ-૨૭ હેઠળ જેલની સજા ફરમાવવા અને વોરંટ કાઢવા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ દ્વારા માંગણી કરાઇ હતી, જેમાં છેવટે સફળતા મળી હતી.