શહેરના કેશવબાગ વિસ્તારમાં થોડા દિવસ પહેલાં જ મીનાબહેન નામના સિનિયર સીટીઝન વૃધ્ધાની કરપીણ હત્યાના ચકચારભર્યા કેસમાં શહેર ક્રાઇમબ્રાંચે આજે આરોપી મહંમદસમીર ઉર્ફે છીપા યાકુબભાઇ રંગરેજ, મહેબુબ ઉર્ફે સમીર ઉર્ફે બાબા કરીમભાઇ શેખ અને સમશેર ઉર્ફે કાળુભાઇ ખાજાહુસૈન સૌય્યદ એમ ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે ગુનામાં વપરાયેલી બે બાઇક અને સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓ સુધી પહોંચી તેમને રામોલમાંથી ધરદબોચી લીધા હતા.
હજુ આ પ્રકરણમાં બે આરોપીઓ નાસતા ફરતા હોઇ પોલીસે તેમને પકડવા માટેની તપાસ પણ જારી રાખી છે. થોડા દિવસ પહેલાં જ શહેરના પોશ વિસ્તાર ગણાતા કેશવબાગ પાર્ટી પ્લોટ પાસે વિદ્યાનગર ફલેટમાં રહેતાં સિનિયર સીટીઝન વૃધ્ધા મીનાબહેન નારાયણભાઇ જોગની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટના ઇરાદે વૃધ્ધાની હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું હતું. મીનાબહેન તેમના પતિ સાથે એકલા જ આ ફલેટમાં રહેતા હતા અને તેઓ ઘરમાં એકલા હોય ત્યારે ગુનેગારોએ ગુનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. આ હત્યા કેસમાં શહેર ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ સીસીટીવી ફુટેજ અને ગુનામાં વપરાયેલા બે બાઇકના આધારે તપાસનો દોર આગળ ધપાવ્યો હતો, જેમાં ક્રાઇમબ્રાંચને હત્યારાઓ રામોલમાં છુપાયા હોવાની ચોકક્સ બાતમી મળી હતી, જેના આધારે પોલીસે ભારે ગુપ્તતાપૂર્વક ઓપરેશન હાથ ધરી આરોપી મહંમદસમીર ઉર્ફે છીપા યાકુબભાઇ રંગરેજ, મહેબુબ ઉર્ફે સમીર ઉર્ફે બાબા કરીમભાઇ શેખ અને સમશેર ઉર્ફે કાળુભાઇ ખાજાહુસૈન સૌય્યદ એમ ત્રણેય આરોપીઓને રામોલમાંથી ઝડપી લીધા હતા. પોલીસની તપાસમાં ગુનાનો ભેદ ઉકલ્યો હતો કે, આરોપી સમીર કલરવાળાએ ઉપરોકત આરોપીઓને ટીપ આપી હતી કે, તેણે આંબાવાડીમાં એક મકાનમાં કલરકામ કર્યું છે અને પતિ-પત્ની એકલા રહે છે, તેમની પાસે દસ લાખ રૂપિયા રોકડા અને દાગીના છે. જો લૂંટ કરાય તો, સારા એવા રૂપિયા અને દાગીના મળી શકે એમ છે. ત્યારબાદ ઉપરોકત આરોપીઓએ ભેગામળી લૂંટ અને હત્યાના સમગ્ર ગુનાને અંજામ આપ્યો હતો. આ પ્રકરણમાં હજુ શેહજાદ ઉર્ફે સેજુ અને લૂંટના પ્લાનની ટીમ આપનાર સમીર કલરવાળા એ બે આરોપીઓ નાસતા ફરતા હોઇ પોલીસે તેઓને પકડવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે.