ગુજરાતમાં એક પછી એક પડી રહેલા ફટકાઓ વચ્ચે ભાજપે નવી રણનીતિ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. નવી રણનીતિ હેઠળ ફરી એકવાર ભાજપ રાહુલ ગાંધીને ફ્લોપ પોલિટીકલ સ્ટાર પ્રચારક પુરવાર કરવા માટે કોંગ્રેસની નબળી કડીઓને તોડવામાં લાગી ગઈ છે. પાર્ટી હવે એવી યોજના પણ બનાવી રહી છે કે રાજ્યમાં કોંગ્રેસ જ નહીં ભાજપ વિરોધી વધુ પાર્ટીઓ ચૂંટણી મેદાનમાં પોતાના ઉમેદવારોને ઉતારે જેથી તેના મિશનને સફળ કરી શકાય. ભાજપના સુત્રોએ કહ્યું છે કે, જે રીતે બે નેતાઓએ પાર્ટી છોડી દીધી છે અને એકે રોકડની લાલચ આપવાનો આક્ષેપ કર્યો છે તેના કારણે ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. તેને લાગી રહ્યું હતું કે, ગુજરાત માટે જે જાળ બિછાવવામાં આવી છે પરંતુ એકાએક જ ભાજપને ફટકો પડ્યો છે. પાર્ટી સુત્રોનું કહેવું છે કે, હવે આ આક્ષેપો બાદ પાર્ટી ડેમેજ કન્ટ્રોલમાં લાગી ગઈ છે. ગુજરાતમાં બેસેલા નેતાઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, આ પ્રકારના મામલાથી સાવધાનીપૂર્વક આગળ વધવામાં આવે. પાર્ટીની રણનીતિ એ પણ છે કે, ધ્યાન કેન્દ્રિત કરવા માટે હવે રાહુલ ગાંધી ઉપર તેજાબી પ્રહારો કરવામાં આવે. રાજ્યમાં કોંગ્રેસની નબળી કડીઓના રુપમાં એવા નેતાઓને શોધી ભાજપમાં લાવવામાં આવે જે હાલમાં કોંગ્રેસ પાર્ટીથી નારાજ છે. આનાથી ભાજપની તરફેણમાં માહોલ સર્જાશે. સાથે સાથે ભાજપની સ્થિતિ મજબૂત થશે. ગુજરાત ચૂંટણીને લઇને તમામ ધ્યાન પાટીદારો ઉપર કેન્દ્રિત કરાયું છે. કોંગ્રેસને પણ અમાંથી જ આશા છે પરંતુ ભાજપ તેનો જવાબ પણ શોધી રહી છે. પાર્ટી નેતાઓનું કહેવું છે કે, પટેલોમાં બે સમુદાય છે. જેમાં એક સમુદાય ભાજપની વિરુદ્ધ છે પરંતુ તેમની અસર માત્ર ઉત્તર ગુજરાતમાં છે. પાર્ટીની રણનીતિ એ પણ છે કે, ઉત્તર ગુજરાતમાં પટેલોના મતોમાં વિભાજનની સ્થિતિ સર્જવામાં આવે.