મહેસાણાના પાટીદાર નેતા નરેન્દ્ર પટેલે વિધાનસભા ચૂંટણી પહેલાં એક સનસનીખેજ ઘટસ્ફોટ કર્યો હતો કે, ભાજપે મને પાર્ટીમાં જોડાવા માટે એક કરોડ રૂપિયાની ઓફર કરી હતી અને તે પેટે દસ લાખ રૂપિયા મને રોકડા આપ્યા હતા. નરેન્દ્ર પટેલે દસ લાખ રૂપિયાના બંડલો પણ મીડિયા સમક્ષ પ્રદર્શિત કર્યા હતા. પટેલે છાતી ઠોકીને દાવો કર્યો હતો કે, પાસમાંથી ભાજપમાં જોડાયેલા વરૂણ પટેલે આ સમગ્ર પ્રકરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મારી પાસે ઓડિયો રેકોર્ડીંગ સહિતના આધારભૂત પુરાવા છે. સાથે સાથે તેમણે પાટીદાર સમાજના અન્ય નેતાઓ અને કન્વીનરોને ભાજપની પૈસાની કે ટિકિટની લાલચમાં નહી આવી પાટીદાર સમાજ સાથે ગદ્દારી નહી કરવા પણ જાહેર અપીલ કરી હતી. મહેસાણાના પાટીદાર નેતા નરેન્દ્ર પટેલે મીડિયા સમક્ષ આવી ભાજપના વધુ એક કાળા કરતૂતનો પર્દાફાશ કરતાં જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા તેમના પક્ષમાં મને જોડાઇ જવા માટે એક કરોડ રૂપિયાની ઓફર કરાઇ હતી. મને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના ત્યાં લઇ જવાયો હતો, ત્યાંથી મને ગાંધીનગર કમલમ્ ખાતે ભાજપના કાર્યાલય ખાતે લઇ જવાયો હતો. જયાં જીતુ વાઘાણી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ભાજપના અન્ય નેતાઓ હાજર હતા. તેઓની સાથે મારી મુલાકાત કરાવાઇ હતી અને પછી મને અંદરના એક રૂમમાં લઇ જવાયો હતો. મારો એક કરોડ રૂપિયામાં સોદો કરાયો હતો. તે પેટે મને દસ લાખ રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા અને જણાવાયું હતું કે, આવતીકાલે ભાજપનું ટાઉન હોલ કે ટાગોર હોલમાં સંમેલન છે અને ત્યાં તમારે ભાજપમાં જોડાઇ જવાનું છે. બાકીના રૂ.૯૦ લાખ તમને મળી જશે. આટલુ કહી પ્રેસ મીડિયાને બોલાવી મને ભાજપમાં જોડાઇ જવાનું બોલાવડાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, હું પાટીદાર સમાજનો વફાદાર સૈનિક છું. આ પૈસા લઉં તો મારા સમાજ સાથે મારી ગદ્દારી થાય અને મારો પાટીદાર સમાજ લજવાય એટલે મેં આ પૈસાની ઓફર ઠુકરાવી ભાજપના કાળા કરતૂતોનો પર્દાફાશ કરવા અને જનતા સમક્ષ તેને ઉઘાડી પાડવા મીડિયાની મદદ લીધી છે. નરેન્દ્ર પટેલે ઉમેર્યું કે, પાસના અન્ય કન્વીનરો અને નેતાઓને મારી જાહેર અપીલ છે કે, ચૂંટણી ટાણે ભાજપની કરોડોની ઓફર, પૈસાની કે ટિકિટની લાલચમાં ના આવતા અને પાટીદાર સમાજ સાથે ગદ્દારી ના કરતા. આ પાટીદારોનો ઉપયોગ કરનારી પાર્ટી છે.
પાછલી પોસ્ટ