ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ ભાજપ, કોંગ્રેસ સહિતના વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ અને આગેવાનો દ્વારા પોતપોતાના પક્ષની રણનીતિ અને વ્યૂહરચનાની જાહેરાતો થઇ રહી છે. આમ આદમી પાર્ટી, એનસીપી બાદ હવે જનતાદળ(યુનાઇટેડ) પક્ષ દ્વારા પણ આ ચૂંટણીમાં પોતાના અસ્તિત્વની લડાઇ માટે ૬૦ ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી છે. જનતાદળ(યુ)ના ઉપપ્રમુખ ગોવિંદભાઇ જાદવે જણાવ્યું હતું કે, બિહારમાં ભલે નીતિશકુમાર ભાજપ સાથે જોડાણ કરે પરંતુ ગુજરાતમાં જનતાદળ(યુ) તેની રીતે અસ્તિત્વ ટકાવી રાખવા મક્કમ છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં ૬૦ ઉમેદવારો ઉભા રાખવાનું પક્ષનું આયોજન છે. ખૂબ ટૂંક સમયમાં જ ઉમેદવારોના નામો નક્કી થઇ જશે.તેમણે વધુમાં જણાવ્યું કે, જનતાદળ(યુનાઇટેડ) પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઇ દેસાઇની વિચારધારા અને આદર્શોને વરેલી પાર્ટી છે. સૌને ન્યાય, સૌને રોજગાર અને સૌના અધિકાર મામલે પક્ષ કયારેય બાંધછોડ નહી કરે, આ મુદ્દાઓ પર જનતાને હંમેશા લાભાન્વિત કરવા પક્ષ તત્પર છે. ભાજપ અને કોંગ્રેસે ગુજરાતની જનતા સાથે દગો કર્યો છે. પ્રજાને જૂઠા વચનો આપી સત્તામાં આવ્યા બાદ પણ તેની પરિપૂર્તતા કરી નથી, તેથી હવે ગુજરાતની જનતાએ નવા વિકલ્પ તરીકે જનતાદળ(યુનાઇટેડ)ને એક તક આપવી જોઇએ. લોક કલ્યાણના કાર્યો, ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય, રોજગાર, મહિલા સુરક્ષા, ખેડૂતો અને વીજળી-પાણીના પ્રશ્ને પક્ષ દ્વારા પ્રાથમિકતાના ધોરણે લોકોની ઇચ્છાઓ અને જરૂરિયાતો સંતોષવામાં આવશે. પ્રજાનો અવાજ સાંભળી તેમની ઇચ્છા મુજબ કાર્યો કરવાનો અમારો નિર્ધાર છે. ગુજરાતની જનતાને છેતરનાર ભાજપ અને કોંગ્રેસને આગામી વિધાનસભા ચૂંટણીમાં જનતા જવાબ આપશે એમ જનતાદળ(યુનાઇટેડ)ના ઉપપ્રમુખ ગોવિંદભાઇ જાદવે ઉમેર્યું હતું.
આગળની પોસ્ટ