કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીને પાર્ટી પ્રમુખ તરીકેની તાજપોશી ૩૦મી ઓક્ટોબરના દિવસે કરવામાં આવે તેવી શક્યતા છે. આ અંગેની જાહેરાત ૨૬મી ઓક્ટોબરના દિવસે કરવામાં આવે તેવી શક્યતા છે. એજ દિવસે પાર્ટીમાં સંસ્થાકીય ચૂંટણી યોજાનાર છે. પાર્ટી હાઈકમાન્ડમાં રહેલા સુત્રોએ આજે આ મુજબની માહિતી આપી હતી. ૩૦મી ઓક્ટોબરના દિવસે તેમની માતા સોનિયા ગાંધી પાસેથી પાર્ટીની જવાબદારી રાહુલ પોતાના હાથમાં લઇ લે તેવી શક્યતા છે.
કોંગ્રેસ પાર્ટીએ તેલંગાણામાં આ અંગેની જાહેરાત કરવાની તૈયારી કરી છે. તેલંગાણામાં પાર્ટી હંમેશા મજબૂતી સાથે ઉભરી આવી છે. રાષ્ટ્રીય સ્તર ઉપર પણ પાર્ટીને ફરી ઉભરી આવવામાં આનાથી મળશે તેવી આશા સાથે જાહેરાત હૈદરાબાદમાં કરવાની તૈયારી કરી છે. આંધ્રપ્રદેશ એક રાજ્ય હતુ ત્યારે તેના દેખાવથી બોધપાઠ લઇને કોંગ્રેસ પાર્ટી આગળ વધી હતી અને યુપીએની રચનામાં આંધ્રપ્રદેશે ભૂમિકા ભજવી હતી. તેલંગાણામાં પણ આવી જ બેઠક અને જાહેરાતથી પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ વધશે. કોંગ્રેસ પાર્ટીમાં ટીડીપીના હાઈપ્રોફાઇલ કેટલાક નેતાઓ એન્ટ્રી કરી ચુક્યા છે. કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીની વરણીની જાહેરાત કરીને પાર્ટીને વધુ મજબૂત બનાવવાના પ્રયાસમાં લાગશે. હાલમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. આવી સ્થિતિમાં બંને રાજ્યોમાં ચૂંટણી પહેલા રાહુલ ગાંધીને પાર્ટી પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે. તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ એમ રવિનું કહેવું છે કે, કોંગ્રેસ પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકવા માટે પ્રયાસ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યા છે. પોલિટિકલ પાર્ટી તેલંગાણા ટીડીપીના કારોબારી પ્રમુખ કોંગ્રેસમાં સામેલ થઇ ગયા છે. આનાથી સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે, આગામી ચૂંટણીમાં કોંગ્રેસ સત્તામાં આવશે.
આગળની પોસ્ટ